અમદાવાદના સ્માર્ટ સિટી મિશનને આગળ ધપાવતી મ્યુનિસિપલ કોર્પોરેશન હવે શહેરની માર્ગસંબંધિત વિવિધ સમસ્યાઓને તરત ઓળખી તેની પર કાર્યવાહી કરવા માટે એઆઈ ટેકનોલોજીનો સહારો લઈ રહી છે. અત્યાર સુધીમાં શહેરના રસ્તાઓ પર ગંદકી, પાણી ભરાવું, ઢોર રખડવા, ખાડાઓ, ટ્રાફિક નિયમ ભંગ જેવી સમસ્યાઓ માટે નાગરિકોને ફરિયાદ નોંધાવવી પડતી હતી, પણ હવે 250 AMTS બસોમાં એઆઈ આધારિત ડેશકેમ દ્વારા આ તમામ માહિતી મ્યુનિ. તેમજ ટ્રાફિક પોલીસ સુધી પહોંચશે.
250 AMTS બસોમાં લાગશે એઆઈ સજ્જ ડેશકેમ
મ્યુનિ કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રથમ તબક્કામાં 250 AMTS બસોમાં એઆઈ ટેકનોલોજીથી સજ્જ ડેશકેમ લગાવવાની યોજના બનાવાઈ છે. જો ટેન્ડર પ્રક્રિયા તેમજ મંજુરી સમયસર થઈ જાય તો આગામી અઢી મહિનામાં આ ડેશકેમ કાર્યરત થઇ જશે. બસ શહેરમાં દૈનિક અલગ અલગ વિસ્તારોમાંથી પસાર થતી હોવાથી રસ્તા પર થતી ખામીઓની જાણકારી આ ડેશકેમ આપમેળે CCRS (Centralized Complaint Redressal System) ને મોકલશે.
એઆઈ ડેટા ફિલ્ટર કરીને અલગ-અલગ વિભાગોને કરશે શિડ્યૂલ
ડેશકેમ દ્વારા ટ્રાફિકના નિયમોના ભંગ – જેમ કે હેલ્મેટ વિના વાહન ચલાવવું, રોંગ સાઈડ ડ્રાઇવિંગ જેવી ઘટનાઓ પણ ઓળખી જશે અને તે સંબંધિત વિગતો પોલીસના ઈ-ચલણ સિસ્ટમમાં ટ્રાન્સફર કરશે. બીજી તરફ ગંદકી, મેનહોલ ખુલ્લું હોવું, વીજવાયરની સમસ્યા, તુટેલી સ્ટ્રીટ લાઈટ જેવી સમસ્યાઓ મ્યુનિ.ના CCRS પોર્ટલમાં આપમેળે નોંધાશે.

પાયલટ પ્રોજેક્ટથી મળ્યો સારો પ્રતિસાદ
આ પહેલ પહેલેથી પોલીસની 25 PCR વાનમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવી હતી, જેના સારા પ્રતિસાદને ધ્યાનમાં રાખીને હવે તેને મ્યુનિ.ના વાહનો સુધી વિસ્તૃત કરવામાં આવી રહી છે.
કુલ 1000 બસો અને વાહનોમાં ડેશકેમનું લક્ષ્ય
પ્રથમ તબક્કા બાદ આગામી ત્રણ તબક્કામાં વધુ 750 મ્યુનિ.ના વાહનોમાં પણ ડેશકેમ લગાવવાનું આયોજન છે. જેમાં અન્ય AMTS બસો ઉપરાંત કચરાવાહન, સફાઈ વાહન, પાણી સપ્લાય વાહન સહિત વિવિધ ડિપાર્ટમેન્ટના વાહનોનો સમાવેશ થશે.
આ મુદ્દાઓ માટે નોધાશે ફરિયાદો
એઆઈ ડેશકેમ દ્વારા અંદાજે 43 પ્રકારની વિવિધ સમસ્યાઓના ડેટા મ્યુનિ. અને ટ્રાફિક પોલીસ સુધી પહોંચશે. જેમાં મુખ્યત્વે:
-
ગેરકાયદે સ્ટોલ
-
તુટેલા સ્પીડ બ્રેકર
-
બિસમાર રોડ તથા ડેમેજ રોડ સરફેસ
-
ખુલ્લા અને ધોવાઈ ગયેલા મેનહોલ
-
વીજતાર બહાર હોવાની પરિસ્થિતિ
-
ગેરકાયદે બિલબોર્ડ
-
તુટેલી સ્ટ્રીટલાઈટ અને બસ શેલ્ટર
-
રસ્તા પર સુતા નાગરિકો
-
ખોટા પાર્કિંગ તથા ટ્રાફિક નિયમોનો ભંગ
-
ઝાંખા ટ્રાફિક નિશાન અને ફૂટપાથ પર દબાણો
-
રોડ પર ઢોર રખડવા
નાગરિકોને મળશે ઝડપી સર્વિસ
આ નવી પહેલથી શહેરના રસ્તાઓ વધુ સુરક્ષિત, સ્વચ્છ અને વ્યવસ્થિત બનશે. એઆઈ ટેકનોલોજી મજબૂત માહિતી આપશે, જેના આધારે મ્યુનિ. તરત કાર્યવાહી કરી શકશે. તેમજ ફરિયાદો ઉકેલાતા ન હોય તો તે ઓટોમેટિક ખુલ્લી રહેશે, જેથી જવાબદાર વિભાગને રિમાઇન્ડર્સ મળતા રહે.
