અમદાવાદ, તા. 18 ઓગસ્ટ 2025 – શ્રીમતી એ.પી. પટેલ આર્ટ્સ એન્ડ લેટ શ્રી એન.પી. પટેલ કોમર્સ કોલેજના IQAC-એન્ટી રેગિંગ સેલ દ્વારા UGC ગાઈડલાઈન અંતર્ગત 12 થી 18 ઓગસ્ટ દરમિયાન એન્ટી રેગિંગ જાગૃતિ સપ્તાહ ઉજવવામાં આવ્યું હતું. આ સપ્તાહ દરમિયાન વિદ્યાર્થીઓને રેગિંગના જોખમો, કાયદાકીય જોગવાઈઓ તથા શૈક્ષણિક પરિસરમાં સુરક્ષા અને શિસ્ત જાળવવા માટેના પગલાં અંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.
આ સપ્તાહના સમાપન સત્ર તરીકે 18 ઑગસ્ટના રોજ એક વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાનમાં વિદ્યાર્થીઓને એન્ટી રેગિંગ કાયદા અને તેની જોગવાઈઓ અંગે વિસ્તૃત માહિતગાર કરવામાં આવ્યા. કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે કોલેજના પ્રિન્સિપાલ ડૉ. મુકેશભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા.
આ પ્રસંગે ખાસ આમંત્રિત મહેમાન તરીકે નરોડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. ભરતભાઈ એમ. જોગડા ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સી ટીમના સભ્યો સીતાબેન, સોનલબેન, કોમલબેન, મીનાબેન અને રાહુલભાઈ હાજર રહ્યા હતા. પી.એસ.આઇ. ભરતભાઈએ પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને સમજાવ્યું કે રેગિંગ જેવી અસામાજિક પ્રવૃત્તિઓ શૈક્ષણિક પરિસરમાં બિલકુલ સહનશીલ નથી. તેમણે જણાવ્યું કે જો કોઈ વિદ્યાર્થી રેગિંગમાં સંડોવાય તો તેના પર કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે અને તેને કઠોર સજા ભોગવવી પડી શકે છે.
સાથે સાથે વિદ્યાર્થીઓને નરોડા પોલીસ સ્ટેશનની સી ટીમના કાર્યો વિશે માહિતગાર કરવામાં આવ્યા. સી ટીમની મહિલા સભ્યાઓએ વિદ્યાર્થીઓ સાથે સીધી વાતચીત કરીને રેગિંગ રોકવા માટેની કામગીરી, કાયદાકીય હક્કો અને વિદ્યાર્થીઓને સુરક્ષા અંગે માર્ગદર્શન આપ્યું.
આ ઉપરાંત સીતાબેન દ્વારા સાયબર ફ્રોડ અને તેની સામે કેવી રીતે સાવચેત રહેવું તે અંગે પણ ખાસ માહિતગાર કરવામાં આવ્યું. આજના ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓ મોબાઇલ અને ઈન્ટરનેટનો વ્યાપક ઉપયોગ કરે છે, ત્યારે સાયબર સુરક્ષા વિષયક જાગૃતિ અત્યંત આવશ્યક છે.
કાર્યક્રમનું સંચાલન કવિતાબેન સોનીએ કર્યું. ડૉ. મંજુલાબેન એન્ટી રેગિંગ સેલનો પરિચય આપ્યો જ્યારે ડૉ. જશાભાઈ પટેલ આભાર વિધિ કરી. અંતે તમામ ઉપસ્થિતોએ રાષ્ટ્રગીત ગાઈને કાર્યક્રમનો સમાપન કર્યો.
કોલેજ તરફથી જણાવાયું હતું કે આ પ્રકારની પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓમાં કાયદા પ્રત્યેની જાગૃતિ વધારવામાં મદદરૂપ છે તેમજ તેમને શિસ્તબદ્ધ અને સુરક્ષિત શૈક્ષણિક વાતાવરણ મળે છે. એન્ટી રેગિંગ સપ્તાહ દરમિયાન થયેલા કાર્યક્રમો વિદ્યાર્થીઓ માટે ખૂબ જ માહિતીસભર રહ્યા અને ભવિષ્યમાં આવા જ કાર્યક્રમો દ્વારા સતત જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો.
આ સમગ્ર કાર્યક્રમમાં કોલેજના પ્રોફેસરો, સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓએ આ વ્યાખ્યાનમાંથી એન્ટી રેગિંગ કાયદા, સાયબર સુરક્ષા અને કાયદાકીય હક્કો અંગે અગત્યની માહિતી મેળવી જે તેઓ તેમના જીવનમાં ઉપયોગી બનાવી શકે તેવું જણાવ્યું.
વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા
https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/



