PM નરેન્દ્ર મોદી 25 અને 26 ઓગસ્ટે બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન અમદાવાદ, શેલા, મણિપુર, ગોધાવી, સનાથલ, તેલાવ સહિત અનેક વિસ્તારોમાં કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. ખાસ કરીને અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં વડાપ્રધાનની જાહેરસભા અને રોડ શો અંગે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
25 ઓગસ્ટના રોજ સાંજે ચાર વાગ્યે PM નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટથી સીધા નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે આવશે, જ્યાં તેઓ વિવિધ વિકાસપ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે અને જનસભાને સંબોધશે. PM નરેન્દ્ર મોદી ના આગમનને લઈને નરોડા હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી લગભગ 1.5 કિ.મી.નો રોડ શો યોજાશે. આ રોડ શોને લઈને સમગ્ર વિસ્તારમાં ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. રોડ ઉપર તિરંગા, સિંદૂરના હોર્ડિંગ્સ, સ્વાગત બેનરો તેમજ ત્રિરંગી લાઇટિંગથી સમગ્ર નિકોલ વિસ્તાર ઉજ્જવળ દેખાઈ રહ્યો છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રે છેલ્લા એક અઠવાડિયાથી દિવસ-રાત મહેનત કરીને સમગ્ર રોડ શોના રૂટને ચકાચક બનાવી દીધો છે. નિકોલ મેંગો સિનેમાથી ખોડલધામ સુધીના ડિવાઈડર પર તિરંગા તથા રંગીન પટ્ટીઓ લગાવવામાં આવી છે. નવો રોડ, ફૂટપાથ, કલરકામ તેમજ સફાઈની કામગીરી ઝડપભેર પૂર્ણ કરવામાં આવી છે. નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે વિશાળ જર્મન વોટરપ્રૂફ ડોમ ઉભો કરવામાં આવ્યો છે, જેથી વરસાદી વાતાવરણમાં પણ જનસભામાં લોકોને કોઈ મુશ્કેલી ન પડે. આસપાસના બિલ્ડીંગ પર ગ્રીન નેટ, ત્રિરંગી લાઇટિંગ અને ખાસ ડેકોરેશન કરીને સમગ્ર વિસ્તારમાં તહેવારી માહોલ ઉભો કરવામાં આવ્યો છે.
24 ઓગસ્ટના રોજ સાંજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, મંત્રી જગદીશ પંચાલ તેમજ અમદાવાદ શહેર ભાજપના હોદ્દેદારો PM નરેન્દ્ર મોદી ના રોડ શોના રૂટનું નિરીક્ષણ કરશે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ સભા સ્થળે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે.
વિકાસપ્રકલ્પોની વાત કરીએ તો, વડાપ્રધાન 1,500 કરોડથી વધુના ખર્ચે ઔડા વિસ્તારમાં સિક્સલેન રોડ કામગીરીનું ખાતમુહૂર્ત કરશે. ઉપરાંત શેલા, મણિપુર, ગોધાવી, સનાથલ અને તેલાવ વિસ્તારોમાં 110 કરોડના ખર્ચે વરસાદી પાણીના નિકાલ અને ડ્રેનેજ લાઈનનું કામ શરૂ થશે. ચાંદખેડા અને નારણપુરામાં 50 કરોડના ખર્ચે વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર બાંધવામાં આવશે.
આ સાથે PM નરેન્દ્ર મોદી અમદાવાદના વાડજ વિસ્તારમાં 133.42 કરોડના ખર્ચે બનેલાં 1,449 આવાસ તથા 130 દુકાનનું લોકાર્પણ કરશે. સીજી રોડ અને લો ગાર્ડન વિસ્તારમાં 100 કરોડના ખર્ચે 6.6 કિ.મી. વિસ્તારના ડેવલપમેન્ટનું ખાતમુહૂર્ત થશે, જેમાં સ્કલ્પ્ચર, પ્લે ગાર્ડન એરિયા, ફૂટપાથ અને બ્યૂટિફિકેશન સામેલ છે.
કોર્પોરેશન અને રેલવેના સહયોગથી 66 કરોડના ખર્ચે અમરસિંહ ચૌધરી રેલવે ઓવરબ્રિજ (અસારવા) બનાવવાની કામગીરીનું પણ ખાતમુહૂર્ત થશે. કાલુપુર રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટ સાથે જોડાયેલા આ પ્રોજેક્ટથી રોજના 1.50 લાખથી વધુ વાહનચાલકોને લાભ મળશે.
PM નરેન્દ્ર મોદી ના આ પ્રવાસે ગુજરાતના વિકાસ કાર્યોને વધુ ગતિ મળશે. ખાસ કરીને અમદાવાદના નિકોલમાં યોજાનારી જનસભા અને રોડ શો માટે લોકોમાં ભારે ઉત્સાહ છે અને સમગ્ર વિસ્તાર ત્રિરંગાની ઉજાસમાં સજ્જ થઈ ગયો છે.
વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા
https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/
