અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજ્યમાં દારૂની હેરાફેરી અટકવાનું નામ નથી લેતી. અન્ય રાજ્યોમાંથી વિવિધ કૌશલ્યભરી તરકીબો અપનાવી દારૂ ગુજરાતમાં પ્રવેશતો રહે છે. પરંતુ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ આવા ભેજાબાજોને પડકાર આપીને સાબિત કરી રહી છે કે “હમ ભી તુમ સે કમ નહીં”. માહિતી મુજબ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુપ્ત સૂત્રોથી મળેલી માહિતીના આધારે અસલાલી વિસ્તારમાં આવેલી એક ટ્રાન્સપોર્ટ કંપનીના ગોડાઉનમાં દરોડો પાડ્યો. પોલીસે શોધખોળ કરતાં ત્યાં મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી બિયરનો જથ્થો મળ્યો. આ બિયર મુંબઈમાંથી ટ્રાન્સપોર્ટ મારફતે મોકલાયો હતો અને તેની કાનૂની ઓળખ છુપાવવા માટે નકલી અને બનાવટી બીલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આરોપીઓએ SNGT ટ્રાન્સપોર્ટ અસલાલીમાંથી “પોર્ટર પાર્સલ સર્વિસ”ની મોબાઇલ એપ મારફતે આ માલ અન્ય સ્થળે મોકલવાનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ, પોલીસના સતર્ક પગલાંને કારણે આખી હેરાફેરી સમયસર પકડી પડી.
કાર્યવાહીમાં પોલીસે કુલ ₹52,800 નો મુદામાલ, જેમાં ભારતીય બનાવટનો વિદેશી બિયરનો જથ્થો, 8 જેટલા નકલી બીલો અને ઉપયોગમાં લેવાતા વાહનનો સમાવેશ થાય છે, જપ્ત કર્યા છે. સાથે જ મુખ્ય આરોપીને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપીઓ દારૂ ટ્રાન્સપોર્ટ માટે નિયમિત રીતે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરતા હતા. તેઓ માલને અન્ય કાનૂની સામાન તરીકે દર્શાવી રાજ્યમાં પ્રવેશાવતા હતા. આ વખતે પણ આરોપીએ બિયરના કન્ટેનર માટે ડુપ્લિકેટ ઇન્વોઇસ તૈયાર કર્યા હતા, જેથી ચેકપોસ્ટ અને ટ્રાન્સપોર્ટ ચકાસણીમાં કોઈ શંકા ન થાય.
ગુજરાતમાં દારૂબંધી કાયદાનું ઉલ્લંઘન કરવા માટે આવી હેરાફેરીની ઘટનાઓ વારંવાર સામે આવે છે. ખાસ કરીને અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરોમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વધુ જોવા મળે છે. પોલીસે તાજેતરમાં આવા અનેક કેસોમાં લાખો રૂપિયાનો દારૂ જપ્ત કર્યો છે.
ક્રાઇમ બ્રાન્ચે લોકોને અપીલ કરી છે કે જો તેમને કોઈપણ પ્રકારની દારૂની હેરાફેરી અથવા નકલી બીલો બનાવવાની માહિતી મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરે. કાયદા ભંગનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે અને રાજ્યમાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે.
વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા
https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/

