DGPના કડક આદેશ વચ્ચે રાજ્યભરની પોલીસ તાબડતોડ ગુનેગારોની યાદી બનાવીને કાર્યવાહી કરી રહી છે. બીજી તરફ અમદાવાદના વસ્ત્રાલ અને બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક શરમજનક ઘટના સામે આવી છે.
રાત્રિ દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને એ માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરતી હોય છે, પણ DGPના આદેશ પછી પણ બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ પરના પોલીસકર્મીઓ પેટ્રોલિંગ દરમિયાન ખાટલો પાથરીને સૂઈ ગયા હતા. આ દરમિયાન, વિજય નામના યુવકની હત્યા થઈ ગઈ.
વિજય અને પ્રિયેશ બાપુનગરના કર્ણાવતી એપાર્ટમેન્ટ નજીક બેઠા હતા. તે સમયે પાંચ શખસો ત્યાં આવ્યા અને અકારણ ગાળો બોલવા લાગ્યા. વિજય અને પ્રિયેશે તેમનો વિરોધ કરતા મામલો ઉગ્ર બની ગયો અને શખસોએ બંને પર છરીથી હુમલો કર્યો. આ હુમલામાં વિજયનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે પ્રિયેશ ગંભીર રીતે ઘાયલ થયો.
વિજય બે દિવસ પહેલાં જ બાપુનગરમાં સંબંધીના ઘરે રહેવા આવ્યો હતો. પોલીસ તપાસમાં ખુલ્યું કે જયસિંહ અને તેના સાગરિતો વિજય અને પ્રિયેશ સાથે ઝઘડો કરી રહ્યા હતા, જેમાં વિજયે તેમને ઠપકો આપ્યો હતો. જેથી ગુસ્સે ભરાઈને જયસિંહે વિજયની છાતીમાં છરીનો ઘા મારીને તેની હત્યા કરી હતી. પ્રિયેશને બચાવવા જતા તેની માથામાં પણ ઘા મારવામાં આવ્યા, જેના કારણે તેને 22 ટાંકા આવ્યા છે.
ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી અને વિજયની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી, જ્યારે પ્રિયેશની સારવાર શરૂ કરી. પોલીસે હર્ષદ સોલંકી, ભદ્રેશ ઉર્ફે બંટી સોલંકી, હિંમત ઉર્ફે પિન્ટુ, ગણપત સોલંકી અને જયસિંહની ધરપકડ કરી છે.
હત્યા બાદ કિન્નરો અને સ્થાનિક લોકો પોલીસની બેદરકારી સામે ઉગ્ર બન્યા. જ્યા પોલીસ સૂઈ રહી હતી ત્યાં જ કિન્નરોએ ઘૂસી તેમની પર ગુસ્સો ઉતાર્યો અને સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. હવે આ ઘટના સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની છે.
