કાશ્મીર ના પહેલગામ ખાતે થયેલા ભયાનક આતંકી હુમલામાં 28 પર્યટકોનાં મૃત્યુ થયા છે જેમાં ગુજરાતના 3 પ્રવાસીઓ પણ શામેલ છે. આ દુર્ઘટના બાદ સમગ્ર કાશ્મીર ખીણમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. શ્રીનગર, જમ્મુ, ગુલમર્ગ અને સોનમર્ગ સહિતના વિસ્તારોમાં ફસાયેલા ગુજરાતના આશરે 8 હજાર પ્રવાસીઓને સુરક્ષિત રીતે વિમાન, ટ્રેન અને ખાનગી વાહનો દ્વારા પરત લાવવામાં આવી રહ્યા છે.
આંકડાઓ મુજબ જમ્મુ અને શ્રીનગરથી આવતી ડાયરેક્ટ ફ્લાઈટો ફૂલ થવા લાગી છે, જ્યારે કનેક્ટિંગ ફ્લાઈટોના ભાડા 15થી 25 હજાર રૂપિયા સુધી વધી ગયા છે. આતંકી હુમલાની અસરથી કાશ્મીર માટે બુક થયેલા ટૂર પેકેજ ધડાધડ રદ થવા લાગ્યા છે. ટ્રાવેલ ફેડરેશન એસોસિએશન ઓફ ઇન્ડિયા (TAFI)ના ચેરમેન રોનક શાહના જણાવ્યા મુજબ 90% જેટલા લોકોએ પોતાનો પ્રવાસ રદ કર્યો છે.

ગુજરાતમાંથી અંદાજે 1 લાખ પ્રવાસીઓ કાશ્મીર નહીં જાય, જેથી રાજ્યના ટૂર ઓપરેટરોને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવું પડી રહ્યું છે. એરલાઈન્સે 30 એપ્રિલ સુધીના ટિકિટ રિફંડની જાહેરાત કરી છે, જોકે જુલાઈ સુધીનું રિફંડ આપવાની માગ ઊઠી રહી છે.
ટૂર ઓપરેટરો હવે દાર્જિલિંગ, હિમાચલ, ઉત્તરાખંડ, ગેંગટોક અને મેઘાલય જેવા વિકલ્પ આપી રહ્યા છે. ટૂર રદ કરનારાઓને આંશિક રિફંડ કે ક્રેડિટ નોટની વ્યવસ્થા કરવામાં આવી છે.
સ્થાનિક હોટેલો તરફથી પણ સંપૂર્ણ રિફંડ મળતી નહીં હોવાથી આ બાબતે પણ વાટાઘાટો ચાલુ છે. 12 હજારથી વધુ ફ્લાઈટ ટિકિટો અને હજારો હોટેલ બુકિંગ રદ થતા ટૂર ઉદ્યોગને ગંભીર આર્થિક ફટકો પડ્યો છે.
