અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સાબરકાંઠાની 16 વર્ષીય કોરોના પોઝિટિવ કિશોરીનું રવિવારના રોજ દુઃખદ મૃત્યુ થયું છે. આરએમઓ ડો. દેવાંગ શાહના જણાવ્યા અનુસાર કોટડાના રહેવાસી આ કિશોરીને 4 જૂને દાખલ કરાઈ હતી. તેના ફેફસાંમાં ગંભીર ઈન્ફેક્શન અને સાથે હિપેટાઇટિસ-બી પણ પોઝિટિવ આવતાં સારવારમાં અનેક પ્રકારના ઇન્જેક્શન અપાયા હતા.
કિશોરીની તબિયત કોરોના થી ખુબજ નાજુક હોવાથી હોસ્પિટલ તંત્રે તેને રેમડેસિવિર, હિપેરીન અને ટોસિલિઝુમેબ જેવું શક્તિશાળી ઇન્જેક્શન આપવાનો પ્રયાસ કર્યો હતો. હોસ્પિટલ તરફથી બજારમાંથી રૂ. 39,000 મૂલ્યનું 400 મિલીનું ટોસિલિઝુમેબ ઇન્જેક્શન ખરીદીને આપવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, શહેરમાં હાલની લહેર દરમિયાન કોઈ દર્દીને ટોસિલિઝુમેબ આપ્યાનો આ પ્રથમ કેસ હતો.

શુક્રવાર રાત્રે કિશોરીની હાલત વધુ બગડતાં તેને વેન્ટિલેટર સપોર્ટ પર લેવાઈ હતી. તેમ છતાં રવિવાર સવારે કોરોના થી તેનું દુઃખદ અવસાન થયું. ડોક્ટરોના જણાવ્યા અનુસાર કોરોનાની સાથે હિપેટાઇટિસ-બી જેવી ગંભીર બીમારી હોવાથી સારવાર અસરકારક બની શકી નહીં.
સોલા સિવિલમાં હાલમાં 70, 65 અને 21 વર્ષીય ત્રણ મહિલા દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે. આમાંથી બે દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર છે જ્યારે એક મહિલા બાયપેપ સપોર્ટ પર છે. હોસ્પિટલના સૂત્રો જણાવે છે કે કોરોનાના દર્દીઓમાં જો શ્વાસ લેવામાં તકલીફ અને ફેફસાંમાં ગંભીર ઈન્ફેક્શન જોવા મળે તો ટોસિલિઝુમેબના ત્રણ પ્રકારના ડોઝ – 80 એમજી (4 એમએલ), 200 એમજી (10 એમએલ) અને 400 એમજી (20 એમએલ) આપવામાં આવે છે.
હળવા લક્ષણ ધરાવતાં ઘણા દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ બની રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં 37 વર્ષીય મહિલા અને 72 વર્ષીય પુરૂષને સારવાર બાદ ડિસ્ચાર્જ અપાયો છે. રવિવારના રોજ પણ બે વર્ષના બાળકને સાજું થતાં રજા આપવામાં આવી હતી.
કોરોના ની નવી લહેરમાં જો કે કેસોની સંખ્યા ઓછી છે, પરંતુ ગંભીર દર્દીઓમાં ફેફસાંના ઈન્ફેક્શન અને શ્વસન સમસ્યા જોવા મળી રહી છે, જેના કારણે હોસ્પિટલ તંત્રની ચિંતાઓ વધી રહી છે.
વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા
https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/
