મિડલ ઇસ્ટ દેશોમાં ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે ગેસ સપ્લાય ચેઇન પર અસર જોવા મળી રહી છે, જેનો સીધો પ્રભાવ રાજ્યના વિવિધ શહેરોમાં પણ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં કોમર્શિયલ તેમજ ઘરેલું ગેસ પુરવઠા બંનેમાં ઘટાડો નોંધાયો છે. ઓછા જથ્થામાં ગેસ ઉપલબ્ધ થવાથી નાગરિકો અને વ્યવસાયિક સંસ્થાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં પાઇપડ નેચરલ ગેસ (PNG)ને આવશ્યક ચીજવસ્તુ તરીકે ગણીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે.
શહેરમાં PNG ગેસના વિતરણ માટે હાલમાં અદાણી ગેસ, ગુજરાત ગેસ અને સાબરમતી ગેસ જેવી કંપનીઓ કાર્યરત છે. PNG કનેક્શનના વિસ્તરણ માટે આ ત્રણેય એજન્સીઓ દ્વારા રોડ ઓપનિંગ પરમિટ (RO) માટે કુલ 820 અરજીઓ કરવામાં આવી હતી. AMC દ્વારા આ તમામ અરજીઓનું તાત્કાલિક નિરાકરણ કરીને મંજૂરી આપવામાં આવી છે, જેથી શહેરમાં PNG નેટવર્ક ઝડપથી વિસ્તરી શકે.
AMC દ્વારા લેવામાં આવેલ આ નિર્ણય અનુસાર, વિવિધ ઝોનમાં રોડ ઓપનિંગ પરમિટ આપવા માટેની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. ડિફેક્ટ લાયેબિલિટી પૂર્ણ થયેલા રસ્તાઓ માટે પરમિશન આપવાની સત્તા સંબંધિત ઝોનના એડીશનલ સિટી ઈજનેરને સોંપવામાં આવી છે, જ્યારે જ્યાં ડિફેક્ટ લાયેબિલિટી ચાલુ છે તેવા રસ્તાઓ માટે મંજૂરીની સત્તા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરને આપવામાં આવી છે. આથી પરમિશન પ્રક્રિયા ઝડપી અને અસરકારક બની છે.
ખાસ વાત એ છે કે, અગાઉ રોડ ખોદકામ માટે ફી વસૂલાતી હતી, પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને AMC દ્વારા કોઈપણ પ્રકારના ચાર્જીસ લીધા વિના કામગીરી કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી ગેસ કંપનીઓને મોટી રાહત મળશે અને PNG નેટવર્કનો વિસ્તાર ઝડપથી શક્ય બનશે.
રોડ ઓપનિંગ પછી થતી રી-ઈન્સ્ટેટમેન્ટની કામગીરી અંગે પણ AMC દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે આ કામગીરી સંબંધિત એજન્સીઓ દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ હવે AMC પોતે આ કામગીરી કરશે અને તેનો ખર્ચ એજન્સી પાસેથી વસૂલશે. આથી કામની ગુણવત્તા જળવાઈ રહેવાની સાથે સમયસર પુનઃસ્થાપન પણ શક્ય બનશે.
આ ઉપરાંત, શહેરમાં કાર્યરત હોટલ અને રેસ્ટોરન્ટ માટે પણ મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. LPGના વધતા સંકટને ધ્યાનમાં રાખીને તમામ હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશન સાથે મીટિંગ યોજવામાં આવી હતી. તેમાં PNGનો વધુમાં વધુ ઉપયોગ કરવા અંગે ચર્ચા કરવામાં આવી અને એસોસિએશન તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. LPGનો ઉપયોગ કરતી સંસ્થાઓને PNGમાં રૂપાંતરિત થવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.
આ સમગ્ર પ્રયાસોનો મુખ્ય હેતુ શહેરમાં ગેસ પુરવઠાની સમસ્યાનો લાંબા ગાળાનો ઉકેલ લાવવાનો છે. PNG વધુ સુરક્ષિત, સતત અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પ હોવાને કારણે AMC તેનો વ્યાપ વધારવા માટે પ્રતિબદ્ધ છે. હાલની વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલા આ નિર્ણયો શહેરના નાગરિકો અને વ્યવસાયિક વર્ગ માટે રાહતરૂપ સાબિત થશે.
વધુ સમાચાર વાંચો :
CAR-T સેલ થેરેપીથી બ્લડ કેન્સરનો ઇલાજ હવે ગુજરાતમાં જ શક્ય
https://abplusnews.com/treatment-of-blood-cancer-with-car-t-cell/
