AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

CAR-T સેલ થેરેપીથી બ્લડ કેન્સરનો ઇલાજ હવે ગુજરાતમાં જ શક્ય

Share

અમદાવાદના મેરિગો સિમ્સ હોસ્પિટલના ડૉક્ટર અને એન્જિનિયરોની ટીમે બ્લડ કેન્સર સામેની લડતમાં ઐતિહાસિક સફળતા મેળવી છે. હોસ્પિટલને CAR-T સેલ થેરેપીમાં મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે, જે લ્યુકેમિયા, લિમ્ફોમા અને મલ્ટિપલ માયલોમા જેવા ગંભીર બ્લડ કેન્સરના દર્દીઓ માટે આશાનું કિરણ બની છે. વિદેશમાં 2થી 4 કરોડ રૂપિયામાં થતી આ અદ્યતન થેરેપી હવે ગુજરાતમાં માત્ર 20થી 30 લાખ રૂપિયામાં ઉપલબ્ધ બની છે.

શું છે CAR-T સેલ થેરેપી?

CAR-T (Chimeric Antigen Receptor T-Cell) થેરેપી એ બાયો-ઇન્જિનિયરિંગ આધારિત આધુનિક ઉપચાર છે. શરીરમાં રહેલા રોગપ્રતિકારક શક્તિના T સેલ દર્દીના લોહીમાંથી અલગ લેવામાં આવે છે. બાદમાં આ સેલને લેબોરેટરીમાં જિનેટિક રીતે મોડિફાય કરવામાં આવે છે જેથી તેઓ કેન્સરના કોષોને ઓળખી તેમનો નાશ કરી શકે. તૈયાર થયેલા સુધારેલ સેલ્સને CAR-T સેલ કહેવામાં આવે છે. આ સેલ્સ શરીરમાં પાછા અપાયા બાદ કેન્સરના સેલ્સ પર સીધી હુમલો કરે છે.

કેવી રીતે થાય છે આ પ્રોસેસ?

CAR-T થેરેપી માટે સૌથી પહેલાં દર્દીના શરીરમાંથી લોહી લેવામાં આવે છે અને તેમાંના T સેલ અલગ કરવામાં આવે છે. આ સેલ્સ મુંબઇની સ્પેશિયલ લેબમાં મોકલવામાં આવે છે જ્યાં 2થી 3 અઠવાડિયામાં તેમને સુધારવામાં આવે છે. લેબમાં ક્વોલિટી કન્ટ્રોલ બાદ તૈયાર થયેલા CAR-Tસેલ માઇનસ 80 ડિગ્રી તાપમાને અમદાવાદ મોકલવામાં આવે છે. ત્યારબાદ હોસ્પિટલમાં દર્દીને એ સેલ આપવામાં આવે છે — આ પ્રક્રિયા દરમિયાન કોઇ સર્જરી કરવાની જરૂર પડતી નથી.

ડૉ. કૌમિલ પટેલ જણાવે છે કે, “એક વાર આ થેરેપી અપાઈ જાય પછી આગામી બે અઠવાડિયામાં CAR-T સેલ કેન્સરના કોષોને નષ્ટ કરે છે. દર્દી સામાન્ય રીતે એક વર્ષમાં સંપૂર્ણ સ્વસ્થ થઇ શકે છે.”

ગુજરાતની પહેલી સફળતા

મેરિગો સિમ્સ હોસ્પિટલમાં આ થેરેપીથી સારવાર મેળવનાર પ્રથમ દર્દી 36 વર્ષની મહિલા છે. પહેલા તેમણે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સહિતના બધા ઉપચાર કરાવ્યા છતાં કેન્સર ફરી પાછું આવ્યું હતું. પરંતુ CAR-T થેરેપી પછી તેમની તબિયતમાં નોંધપાત્ર સુધારો થયો છે.

કેટલા કેન્સરમાં કારગત છે આ CAR-T સેલ થેરેપી?

હાલમાં આ ઉપચાર લ્યુકેમિયા, લિમ્ફોમા અને મલ્ટિપલ માયલોમા જેવા બ્લડ કેન્સરમાં અત્યંત અસરકારક સાબિત થઈ રહ્યો છે. નાના બાળકો થી લઈને વૃદ્ધ દર્દીઓ સુધીમાં CAR-T સેલ થેરેપી સફળતાપૂર્વક આપી શકાય છે.

વિદેશ કરતાં અનેક ગણો સસ્તો ઉપચાર

વિદેશમાં આ ઉપચારનો ખર્ચ 2 થી 4 કરોડ રૂપિયા જેટલો હોય છે, જ્યારે ભારતમાં તે ફક્ત 20 થી 30 લાખ રૂપિયામાં શક્ય થયો છે. આવનારા સમયમાં આ ટેક્નોલોજી વધુ સસ્તી થશે અને અન્ય પ્રકારના કેન્સર માટે પણ ઉપયોગી બનશે.

ઇનોવેશનનો સમન્વય

આ થેરેપી એ માત્ર મેડિકલ નહિં, પરંતુ એન્જિનિયરિંગ અને સાયન્સના સંયુક્ત ઇનોવેશનનું પરિણામ છે. ડૉક્ટરો અને એન્જિનિયરોની આ સહકારપૂર્ણ મહેનતે ભારતને વૈશ્વિક હેલ્થકેર ક્ષેત્રે નવી ઊંચાઈ પર પહોંચાડ્યું છે.

આ થેરેપી ગુજરાત માટે કેન્સર સામેની લડતમાં આશાનું નવું પાનુ છે — હવે અશક્ય લાગતી સારવાર પણ હવે પોતાના રાજ્યમાં શક્ય બની છે.


Share

Related posts

બર્થરાઈટ સિટીઝનશિપ ખતમ કરવાના ટ્રમ્પના આદેશ પર કોર્ટનો સ્ટે

abplusnews

નરોડા અમરનાથ એસ્ટેટમાં અગરબત્તીના કારખાનામાં ભીષણ આગ, 9 ફાયર બ્રિગેડે કલાકો સુધી જહેમત ઉઠાવી

abplusnews

ડમ્પર ચાલકોની બેદરકારી યથાવત: નવા નરોડામાં મહિલા મોતને ભેટી

abplusnews

Leave a Comment