અમદાવાદ શહેરમાં ગોગો પેપર ના વેચાણ અને ઉપયોગ સામે ગુજરાત સરકાર દ્વારા પ્રતિબંધ લાગુ થયા બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ડ્રગ્સ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત શહેરના પૂર્વ વિસ્તારમાં માત્ર એક જ દિવસમાં પાંચ અલગ–અલગ જગ્યાએથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એરપોર્ટ, ઓઢવ, નરોડા, નારોલ અને કાગડાપીઠ વિસ્તારમાંથી પોલીસે લાખો રૂપિયાનો ગોગો પેપર નો જથ્થો ઝડપી લઈને ચારથી વધુ આરોપીઓની ધરપકડ કરી છે. આ તમામ કેસમાં પોલીસે ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, એરપોર્ટ વિસ્તારમાં એક વેપારી પાસે મોટા પ્રમાણમાં ગોગો પેપર હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન વેપારી પાસેથી અંદાજે રૂ. 72 લાખની કિંમતનો ગોગો પેપરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક વેપારીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ગોગો પેપર શહેરના વિવિધ વિસ્તારોમાં પાન પાર્લર અને ચાની કિટલીઓ સુધી પહોંચાડવામાં આવતો હતો.
આ ઉપરાંત ઓઢવ, નરોડા, નારોલ અને કાગડાપીઠ વિસ્તારમાંથી પણ અલગ–અલગ કાર્યવાહી દરમિયાન ગોગો પેપર નો જથ્થો ઝડપાયો છે. આ ચારેય વિસ્તારોમાંથી પોલીસે ચારથી વધુ શખ્સોને પકડી લીધા છે. તમામ આરોપીઓ સામે ગુનો નોંધાઈ ગયો છે અને તેઓ ક્યાંથી માલ લાવતા હતા તેમજ કોને સપ્લાય કરતા હતા તે દિશામાં પોલીસ તપાસ આગળ વધારી રહી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં યુવાધન પર વધી રહેલા નશાના દૂષણને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા મંગળવાર સાંજથી ગોગો પેપર ના વેચાણ અને સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સરકારના ધ્યાનમાં આવ્યું હતું કે પાન પાર્લર અને ચાની કિટલીઓ પરથી યુવાનો સરળતાથી ગોગો પેપર ખરીદી તેમાં ચરસ, ગાંજો કે અન્ય નશીલા પદાર્થ ભરીને તેનો ઉપયોગ કરતા હતા. આ પ્રવૃત્તિ યુવાનોના ભવિષ્ય માટે ગંભીર ખતરો બની રહી હતી.
ડ્રગ્સ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત સરકારે પોલીસ વિભાગને સ્પષ્ટ આદેશ આપ્યા છે કે ગોગો પેપર વેચાણ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આ આદેશોને પગલે અમદાવાદ પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમે શહેરમાં સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરી છે. ખાસ કરીને પાન પાર્લર, ચાની કિટલીઓ, ગોડાઉન અને હોલસેલ વેપારીઓ પર નજર રાખવામાં આવી રહી છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી માત્ર શરૂઆત છે. આગામી દિવસોમાં પણ શહેર તેમજ રાજ્યભરમાં ગોગો પેપર ના ગેરકાયદે વેચાણ સામે સઘન કાર્યવાહી ચાલુ રહેશે. ગોગો પેપરની સપ્લાય ચેઇન તોડવા માટે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને જરૂર પડે ત્યાં વધુ ધરપકડ પણ કરવામાં આવશે. સરકાર અને પોલીસનો સ્પષ્ટ સંદેશ છે કે નશા સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે અને યુવાધનને નશાના દૂષણથી બચાવવા કોઈપણ રીતે કડક પગલાં લેવામાં આવશે.
વધુ સમાચાર વાંચો :
CAR-T સેલ થેરેપીથી બ્લડ કેન્સરનો ઇલાજ હવે ગુજરાતમાં જ શક્ય
https://abplusnews.com/treatment-of-blood-cancer-with-car-t-cell/

