અમદાવાદ, 14 મે 2025: શહેરના બાપુનગર વિસ્તારમાં ગરમીની ઋતુ દરમિયાન ધાબા પર સૂઇ રહેલા બે પરિવારના ઘરોમાં તસ્કરોએ તાળાં તોડી રૂ. 1.88 લાખની કિંમતની ચોરી આચરી હોવાની ઘટના સામે આવી છે. બનાવ બાદ બાપુનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તસ્કરોને પકડવા માટે તપાસ શરૂ કરી છે.
ઘટના બાપુનગર વિસ્તારના વૈશાલી ફલેટમાં બનેલી છે, જ્યાં નટવરભાઈ પરમાર તેમનો પરિવાર સાથે રહે છે. તેઓ ગરમીથી રાહ મેળવવા માટે રાત્રીના સમયે ધાબા પર સૂવા ગયેલા હતા. અંદાજે રાતના બે વાગ્યે નટવરભાઈની પત્ની પાણી પીવા માટે નીચે આવી અને પાણી પી ઘરે દરવાજાને તાળું મારી પાછા ધાબા પર ચાલ્યા ગયા. જોકે, સવારે પાંચ વાગ્યે ફરીથી નીચે આવતા તેમણે જોયું કે ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડેલું હતું.
ઘરમાં તપાસ કરતા અંદરનો સામાન છૂટી પડ્યો હતો અને લોખંડની તિજોરી ખુલ્લી હાલતમાં મળી આવી હતી. તિજોરીમાંથી રોકડા રૂપિયા 30 હજાર તેમજ સોનાચાંદીના દાગીનાં મળી કુલ રૂ. 1.23 લાખની માલમત્તાની ચોરી થયાની ખાતરી થઈ હતી.

આ જ સમયે, તેમના બાજુમાં રહેતા બળદેવભાઈ ચૌહાણના ઘરનું પણ તાળું તોડી ચોરોએ લાકડાના પલંગમાં રાખેલા રોકડા રૂપિયા 50 હજાર તથા સોનાના દાગીનાં ચોરી લીધા હતા. બળદેવભાઈના ઘરમાંથી કુલ રૂ. 65 હજારની મત્તા ગુમ થઈ હતી. આમ બંને પરિવારમાંથી મળીને તસ્કરોે કુલ રૂ. 1.88 લાખની કિંમતની ચોરી આચરી છે.
ફરિયાદ મળતાની સાથે જ બાપુનગર પોલીસે ગુનો નોંધી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરવાની કામગીરી શરૂ કરી છે. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે તસ્કરો પહેલેથી જ ઘર પર નજર રાખી રહ્યાં હોય શકે છે અને ઘરના સભ્યોની ઊંઘ દરમિયાન ચોરીને અંજામ આપ્યો છે.
આ ઘટના બાદ વૈશાલી ફલેટના રહેવાસીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિક લોકોએ પોલીસ પાસે રાત્રિ દરમ્યાન પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠાવી છે. પોલીસ હાલ તસ્કરોના પગેરા દબાવવા માટે તપાસની ગતિ તેજ કરી છે.
સુરક્ષા સૂચનાઓ:
પોલીસે નાગરિકોને સલાહ આપી છે કે ઉનાળાની ઋતુમાં ધાબા કે વરાંડા પર સૂતાં પહેલા ઘરના દરવાજા અને તિજોરીને યોગ્ય રીતે લોક કરવામાં આવે. સાથે જ સુરક્ષા અલાર્મ અથવા સીસીટીવી કેમેરા જેવી વ્યવસ્થાઓ ગોઠવવા પર પણ ભાર આપ્યો છે.
