સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં 25 ફેબ્રુઆરીએ લાગેલી આગને કાબૂમાં લેતાં ફાયર વિભાગે ભારે જહેમત ઉઠાવી હતી. જોકે, ગતરોજ સવારે ફરીથી આગ ભભૂકી ઉઠતા પુરા માર્કેટને વિક્રાળ આગે ઘેરી લીધું હતું.
800થી વધુ દુકાનો બળીને ખાખ
આગમાં 800થી વધુ દુકાનોને નુકસાન થયું છે, જેમાંથી 450 દુકાનો બળીને સંપૂર્ણ ખાખ થઈ ગઈ છે. આગના કારણે 30થી 40 કરોડથી વધુના નુકસાનીનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ફાયર વિભાગના હજી પણ આગ ટેક્સટાઇલ માર્કેટમાં પર કાબૂ મેળવવાના પ્રયત્નો ચાલુ છે.

આજીવિકા છીનવાતાં વેપારીઓમાં શોકનો માહોલ
આ દુર્ઘટનાથી વેપારીઓની આજીવિકા છીનવાઈ જતાં તેઓ આઘાતમાં છે. દુકાનમાં ભરેલા માલનો જથ્થો બળીને ખાક થઈ જતાં મોટું આર્થિક નુકસાન થયું છે. ટેક્સટાઇલ માર્કેટમાં કેટલાક વેપારીઓ તેમની દુકાનના નાશથી રડી પડ્યા.
ટેક્સટાઇલ માર્કેટ બિલ્ડિંગની સ્ટેબિલિટી પર જોખમ
ફાયર ઓફિસર કિષ્ણા મોઢે જણાવ્યું કે બિલ્ડિંગની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ધીમે ધીમે નબળી પડી રહી છે. એક બીમ પડતાં સંભવિત ધ્વંસને ટાળવા માટે આગને ઝડપથી કાબૂમાં લેવા પ્રયાસો ચાલુ છે.

300થી 400 કરોડનું નુકસાન: વેપારીઓનો દાવો
વેપારીઓના જણાવ્યા મુજબ, આ આગમાં લગભગ 300થી 400 કરોડનું નુકસાન થયું છે. મંદીના માહોલને કારણે દુકાનોમાં વધારે સ્ટોક ભરેલો હતો, જે બળીને ખાક થઈ ગયો છે.
ફાયર સેફ્ટી અને તપાસ
મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું કે ફાયર સેફ્ટીની સુવિધા અને એનઓસી હોવા છતાં આ દુર્ઘટના કેમ સર્જાઈ એ અંગે તપાસ ચાલી રહી છે. પ્રાથમિક તારણ મુજબ, ઈલેક્ટ્રિક શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
