હવામાન વિભાગ દ્વારા આ વર્ષે ચોમાસું સામાન્ય સમય કરતાં વહેલું પ્રવેશ કરશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં આંદામાન-નિકોબાર ટાપુઓમાં ચોમાસું પ્રવેશી ગયું છે અને 27 મે સુધીમાં કેરળમાં પણ ચોમાસું પ્રવેશી શકે છે. આ પગલે હવે ગુજરાતમાં પણ ચોમાસું સમય પહેલાં આગમન કરવાની શક્યતા નોંધાઈ રહી છે.
દક્ષિણ ગુજરાતમાં ભરઉનાળે પવન અને ધોધમાર વરસાદના કારણે ખેડૂતો માટે મુશ્કેલી ઊભી થઈ છે. વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુરના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાય દિવસથી બપોર પછી વાતાવરણમાં પલટો જોઈ શકાયો છે. અચાનક વરસાદના કારણે કેરી અને લીલા શાકભાજી સહિતના પાકોને નુકસાન પહોંચવાની શક્યતા છે. નદી નાળાઓમાં પણ પાણીની આવક વધી છે.
અમરેલી જિલ્લામાં પણ લાઠી-અમરેલી હાઈવે વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. કેરાળા, પીપરીયા, હરીપર જેવા ગામડાઓમાં શેરીઓ પાણીથી ભરાઈ ગઈ છે અને ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

હવામાન વિભાગ અને સ્કાયમેટ એજન્સીનું પૂર્વાનુમાન
હવામાન વિભાગ અને ખાનગી આગાહી એજન્સી સ્કાયમેટે જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસું સામાન્યથી વધુ સારી સ્થિતિનું રહેવાની શક્યતા છે. સ્કાયમેટ મુજબ ચોમાસું 103% સાથે સામાન્ય રહેશે, જ્યારે હવામાન વિભાગે 105%ની આગાહી કરી છે. અલનીનોની અસર ઓછી હોવાથી ચોમાસું ખરાબ નહીં થાય. લા-નીનો હાલ ન્યુટ્રલ સ્થિતિ તરફ જઈ રહ્યો છે અને ઈન્ડિયન ઓશન ડીપોલ પણ પોઝિટિવ તરફ હોય ચોમાસાને અનુકૂળ બનાવી શકે છે.
ગુજરાતમાં ચોમાસાનું આગમન અને વરસાદી હલચાલ
ગુજરાતમાં સામાન્ય રીતે ચોમાસું 15 જૂન આસપાસ પ્રવેશ કરે છે, પરંતુ 2024માં તેનું આગમન 11 જૂનના રોજ થયું હતું. આ વર્ષે પણ ચોમાસું સમય કરતાં વહેલું આવી શકે છે. જૂન મહિનામાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે, જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતને વધુ સમય રાહ જોવી પડી શકે છે. જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ભારેલી વરસાદની સંભાવના છે અને કેટલીક જગ્યાએ પૂર જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. સપ્ટેમ્બરમાં પણ વિદાય વખતે વરસાદ ચાલુ રહી શકે છે.
