અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં ગટર સાફ કરવાની કામગીરી દરમિયાન ગેસ ગળતરના કારણે એક શ્રમિકનું દુખદ મોત નિપજ્યું છે. આ ઘટનાએ શહેરમાં ગટર સાફ કરતા શ્રમિકોની સલામતી અંગે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.
શું છે સમગ્ર ઘટના?
મંગળવારે (11 માર્ચ) સાંજે લગભગ 6 વાગ્યાની આસપાસ વસ્ત્રાપુર માં સુભાષ પાર્ક પાસે એક ખાનગી સોસાયટીમાં ગટર સાફ કરવાની કામગીરી ચાલી રહી હતી. અહીં લાલા પટેલ નામના શ્રમિકને ગટર સાફ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. તેમની ગટર સાફ કરતી વખતે અંદર જતાં ગેસ ગળતર થયો, જેના કારણે તેમના શ્વાસ રૂંધાઈ ગયા અને તેઓ બેભાન થઈ ગયા.
હાથવગા સાધનો વિના ગટર સાફ કરી રહેલા લાલા પટેલનો મૃત્યુ નિપજતા તરત જ ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે શ્રમિકના મૃતદેહને બહાર કાઢ્યો અને વધુ તપાસ માટે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો.

વસ્ત્રાપુર વિસ્તારમાં કોર્પોરેશનની બેદરકારી સામે પ્રશ્રો
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે મૃતક શ્રમિક કોર્પોરેશનનો કર્મચારી હતો. આમ છતાં, ગટર સાફ કરવા માટે જમરના સાધનો કે સુરક્ષાત્મક ઉપકરણો તેને પૂરા પાડવામાં ન આવ્યા હતા.
આ ઘટના ફરી એકવાર પ્રશ્ન ઉઠાવે છે કે, શું ટેક્નોલોજી અને ડિજિટલ વિકાસની વાતો વચ્ચે આજે પણ શ્રમિકો તેમના જીવના જોખમે ગટર સાફી રહ્યાં છે? શું મ્યુનિસિપલ કોર્પોરેશન શ્રમિકોની સુરક્ષા માટે કોઈ ચોક્કસ પગલાં ભરશે?
અવાર-નવાર બનતી આવી ઘટનાઓ
આ પહેલા પણ ગુજરાત અને ભારતભરમાં આવા દુર્ઘટનાઓ બની છે, જેમાં ગટર સાફ કરતી વખતે અનેક શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે. પરંતું, આજે પણ આધુનિક મશીનરી અને ઓટોમેટિક ગટર સાફ કરવાની વ્યવસ્થા શરૂ થઈ નથી.
હવે જોવાનું એ રહેશે કે, આ ઘટનાને લઈને સરકાર અને સ્થાનિક તંત્ર શ્રમિકોની સલામતી માટે શું પગલાં લે છે. પોલીસ દ્વારા હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
