ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળે આગામી શૈક્ષણિક વર્ષ 2025-26 માટે પાઠ્યપુસ્તકોમાં મહત્ત્વપૂર્ણ ફેરફારો કરવાની જાહેરાત કરી છે. નવી શિક્ષણ નીતિ ( NEP )ને ધ્યાનમાં રાખીને, ધોરણ 1, 6થી 8 અને 12નાં પાઠ્યપુસ્તકોમાં ફેરફાર કરવામાં આવશે, જે વિદ્યાર્થીઓની લર્નિંગ પ્રોસેસને વધુ સુદૃઢ બનાવવાનું લક્ષ્ય ધરાવે છે.
કયા ધોરણમાં કયા વિષયનાં પુસ્તક બદલાશે?
- ધો. 1: ગુજરાતી વિષયનું પુસ્તક બદલાશે.
- ધો. 6: અંગ્રેજી વિષયનું પુસ્તક અપડેટ થશે.
- ધો. 7: સંસ્કૃત માધ્યમમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સર્વાંગી શિક્ષણ, સંસ્કૃત અને મરાઠી વિષયનાં પુસ્તકો બદલાશે.
- ધો. 8: ગુજરાતી, ગણિત અને વિજ્ઞાનનાં પુસ્તકોમાં ફેરફાર થશે.
- ધો. 12: અર્થશાસ્ત્રના પુસ્તકોમાં નવા પ્રકરણ ઉમેરવામાં આવશે.

ન્યૂ એજ્યુકેશન પોલિસી ( NEP ) નો પ્રભાવ
આ ફેરફારોના પગલે શિક્ષણને વધુ પ્રેક્ટિકલ, સમજૂતીપૂર્ણ અને જીવનોપયોગી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નવી શિક્ષણ નીતિ ( NEP ) હેઠળ ટેક્સ્ટબુકને આધુનિક બનાવવા, વિજ્ઞાન અને ગણિત જેવા વિષયોને વધુ વાસ્તવિક જીવન સાથે જોડવા અને ભાષાના પાઠોને રસપ્રદ બનાવવાના ઉદ્દેશ્ય સાથે સુધારાઓ કરવામાં આવ્યા છે.
શૈક્ષણિક ગુણવત્તા વધારવાનો પ્રયાસ
રાજ્ય શિક્ષણ વિભાગે જણાવ્યું કે નવા પાઠ્યપુસ્તકો તૈયાર કરવા માટે શિક્ષણવિદો, વિષય નિષ્ણાતો અને શિક્ષકોની ટીમે મહેનત કરી છે. આ નવા પાઠ્યપુસ્તકો વિદ્યાર્થીઓના ઘસલિયા અભ્યાસને દુર કરી, સમજૂતી આધારિત લર્નિંગ પ્રોસેસને પ્રોત્સાહન આપશે. આ સાથે જ વિદ્યાર્થીઓમાં વિશ્વિકરણના યુગમાં સ્પર્ધાત્મકતા વિકસાવવાની દ્રષ્ટિએ જ્ઞાનને વ્યાવસાયિક બનાવીને, તેમને સશક્ત બનાવવા માગે છે.
વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે મોટો બદલાવ
આ પહેલી વાર નથી જ્યારે રાજ્ય શિક્ષણ વિભાગે પાઠ્યપુસ્તકોમાં મોટા ફેરફારો કર્યા છે. ન્યૂ એજ્યુકેશન પોલિસીના અમલ બાદ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ સતત અપડેટ્સ પર ભાર મુકી રહ્યું છે, જેથી શિક્ષણને વધુ અસરકારક અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવી શકાય.
આ બદલાવનો સીધો લાભ રાજ્યના લાખો વિદ્યાર્થીઓને મળશે અને શિક્ષકોને પણ નવી શિક્ષણ પદ્ધતિઓ અપનાવવામાં સહાય મળશે.


