અમદાવાદના નારોલ વિસ્તારમાં 19 માર્ચે એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસને અકસ્માતનો કિસ્સો લાગ્યો હતો, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થતા સમગ્ર મામલો પલટી ગયો. રિપોર્ટમાં મૃતકના શરીર પર ફેક્ચર અને ઘાના નિશાન જોવા મળ્યા, જે સામાન્ય અકસ્માતમાં ન થતા હોવાને કારણે પોલીસે વધુ તપાસ શરૂ કરી.
નારોલ માં CCTV ફૂટેજ અને પૂછપરછ બાદ સત્ય સામે આવ્યું
પ્રાથમિક રીતે પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો હતો, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી તપાસની દિશા બદલી. પોલીસે સ્થળ નજીકના CCTV ફૂટેજ તપાસ્યા, જેમાં કોઈ વાહન અથડાયું હોવાનો પુરાવો નહોતો. તેના આધારે પોલીસે મૃતકના પરિવારજનો અને પરિચિતોની પૂછપરછ શરૂ કરી.
આ તપાસ દરમિયાન બે શખ્સોની સંડોવણી અંગે શંકા ઉઠી. શંકાસ્પદ વ્યક્તિઓ રાજુસિંગ અને ઈશ્વરસિંહ સિસોદિયાને પૂછપરછ માટે બોલાવાયા, જ્યાં બંનેએ હત્યાની કબૂલાત કરી.

મૃતક અને આરોપીઓ વચ્ચે ઝઘડાને કારણે હત્યા
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે મૃતક નારોલ ના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા એક ઝૂંપડપટ્ટીમાં સતત આવતો-જતો હતો. મૃતક વાસણ ધોવાનું કામ કરતો હતો અને અનેક વખત આરોપીઓ સાથે સંકળાયેલો હતો.
ઘટનાના દિવસે, 19 માર્ચે, મૃતક નશાની હાલતમાં આરોપીઓના ઘરે ગયો હતો અને ગાળીઓ આપી ઝઘડો કર્યો હતો. આ ગુસ્સામાં, રાજુસિંગ અને ઈશ્વરસિંહે મળીને તેને માર માર્યો. ઝઘડો વધતા આરોપીએ છરી વડે ઘા માર્યા અને તેને રોડ પર ફેંકી દીધો.
નારોલ માં આરોપીઓની ધરપકડ અને વધુ તપાસ ચાલુ
ટ્રાફિક ડીસીપી સફીન હસન મુજબ, પોલીસે બંને આરોપીઓ રાજુસિંગ અને ઈશ્વરસિંહ સિસોદિયાની ધરપકડ કરી છે. બંનેએ હત્યાની કબૂલાત કરી છે અને હાલ પોલીસ વધુ તપાસમાં લાગી છે.
પોલીસ તપાસ કરી રહી છે કે શું આ હત્યા પૂર્વનિયોજિત હતી કે પછી અચાનક થયેલા ઝઘડાના પરિણામે હત્યા કરવામાં આવી. આ ઉપરાંત, મૃતકના અન્ય સંપર્કો અને આરોપીઓના અગાઉના ગુનાઓ અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
વધુ સમાચાર વાંચો :
