અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાથમિક અહેવાલો પ્રમાણે મેઘાણી નગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઇજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. આ દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, ટેક ઑફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતાં આ ઘટના બની હતી. એવું પણ કહેવાય છે કે, આ પ્લેનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી દુર્ઘટના સર્જાઈ હતી.
અમદાવાદ એરપોર્ટ ફરી કાર્યરત
અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ થોડા સમય માટે એરપોર્ટની કાર્યવાહી અટકાવાયા બાદ ફરી એકવાર ફ્લાઈટોનું સંચાલન શરૂ કરાયાની માહિતી મળી રહી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા

300 થી 400 ફૂટ ઉછળ્યો કાટમાળ
વિમાનનો કાટમાળ 300 થી 400 ફૂટ દૂર સુધી ઉછળીને પડ્યો હતો એટલે હોસ્ટેલ બિલ્ડિંગથી એફએસએલની બિલ્ડિંગ સુધી વિમાનનો કાટમાળ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. દુર્ઘટનામાં હોસ્ટેલની કુલ 4 બિલ્ડિંગ આગની ઝપેટમાં આવી હતી. જેમાં તબીબો અને તેમના પરિવારજનો રહેતા હતા, જેથી તેમના મોતનો આંક વધી શકે છે.
ગુજરાત સરકારે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા

કઇ-કઈ ઈમારતોને નુકસાન થયું
અતુલ્યમ 1, 2, 3 અને 4 બિલ્ડિંગને ભારે નુકસાન પહોંચ્યું છે. ઘટના સ્થળ પર ડીજીપી, અમદાવાદ શહેર પોલીસ કમિશનર, ફોરેન્સિંક એક્સપર્ટની ટીમ પહોંચી ગઈ છે અને તપાસ કરી રહી છે.
પીએમ મોદીએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં ટ્વિટ કર્યું

દુર્ઘટનાનું કારણ શું?

ટેઈલના બે ટુકડા થયા, અતુલ્યમ બિલ્ડિંગને અથડાયું
મળતી માહિતી મુજબ, ટેકઓફ બાદ જ્યારે પ્લેનના ટાયર અંદર ન ગયા, ત્યારે વિમાન સૌપ્રથમ નજીક ચાલતી મેસની બિલ્ડિંગ સાથે અથડાયું. આ ટક્કર એટલી જોરદાર હતી કે પ્લેનની ટેઈલના (પાછળના ભાગના) બે ટુકડા થઈ ગયા હતા. ત્યારબાદ વિમાન આગળ વધીને અતુલ્યમ બિલ્ડિંગને અથડાયું હતું, જ્યાં ઈન્ટર્ન ડોક્ટરની હોસ્ટેલ આવેલી હતી. આ અથડામણ બિલ્ડિંગના ત્રીજા, ચોથા અને પાંચમા માળે પાંખની બાજુએ થઈ હતી, જેનાથી બિલ્ડિંગને ભારે નુકસાન થયું છે અને તે ધરાશાયી થવાની શક્યતા છે.
આબાદ બચી PG હોસ્ટેલ, દુર્ઘટના માં મોટી જાનહાનિ ટળી
દુર્ઘટના માં એક રાહતની વાત એ છે કે, જે બિલ્ડિંગને પ્લેન ટકરાયું તેની બરાબર બાજુમાં જ એક પાંચ માળનું બીજું બિલ્ડિંગ આવેલું છે, જેમાં PG (પેઈંગ ગેસ્ટ) હોસ્ટેલ ચાલે છે અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રહે છે. જો પ્લેન આ PG હોસ્ટેલને અથડાયું હોત, તો જાનમાલની અત્યંત મોટી અને ભયાવહ હાનિ થવાની આશંકા હતી. મહત્વની વાત એ છે કે પ્લેન કોઈ બિલ્ડિંગમાં ઘૂસી ગયું ન હતું, પરંતુ બિલ્ડિંગ સાથે અથડાયું હતું. જો પ્લેન કોઈ બિલ્ડિંગ પર સીધું ક્રેશ થયું હોત કે તેમાં ઘૂસી ગયું હોત તો કદાચ તેનાથી પણ વધુ ભારે ખાનાખરાબી સર્જાઈ હોત. હાલ ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, અને દુર્ઘટનાના સંપૂર્ણ કારણો જાણવા માટે તપાસ ચાલુ છે.

હોસ્ટેલ પર વિમાન અથડાતા ભયાવહ દ્રશ્યો સર્જાયા
મળતી માહિતી મુજબ, ક્રેશ થયેલું વિમાન હોસ્ટેલ બિલ્ડિંગના ત્રીજા, ચોથા અને પાંચમા માળે પાંખની બાજુએથી અથડાયું હતું. આ ભયાવહ ટક્કરને કારણે બિલ્ડિંગને ભારે નુકસાન થયું છે અને તે ગમે ત્યારે તૂટી પડે તેવી શક્યતા છે. વિમાન અથડાયા બાદ બિલ્ડિંગમાં ભયંકર આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં ઈન્ટર્ન ડોક્ટર અને તેમના પરિવારજનો સહિત અંદાજે 50થી વધુ લોકો રહેતા હતા.
જીવ બચાવવા બિલ્ડિંગના ચોથા માળેથી કૂદ્યા હતા
આગની ભીષણતાને કારણે કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા બિલ્ડિંગના ચોથા માળેથી કૂદ્યા હતા. આ ઘટનાને નજરે જોનાર લોકોનું કહેવું છે કે, એક વ્યક્તિએ એક બાળકનો જીવ બચાવવા માટે તેને ચોથા માળેથી નીચે ફેક્યો હતો. જ્યારે, એક મહિલા પણ ચોથા માળેથી કૂદી હોવાથી તેને ગંભીર ઈજાઓ પહોંચી છે. નજરે જોનાર કેટલાક લોકોનું કહેવું છે કે બિલ્ડિંગમાં આગ લાગતા 8થી વધુ લોકો ચોથા માળેથી કૂદ્યા હતા. પ્લેન ક્રેશ અને બિલ્ડિંગમાં લાગેલી આગને કારણે કુલ 9થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે, જોકે સત્તાવાર આંકડાઓની રાહ જોવાઈ રહી છે.
રાહત કામગીરી વચ્ચે લૂંટની ઘટના
એક તરફ દુર્ઘટનાગ્રસ્ત સ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી હતી, ત્યારે બીજી તરફ અમાનવીય ઘટના પણ સામે આવી છે. મદદ કરવા આવેલા કેટલાક લોકો દ્વારા ચોરી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. બિલ્ડિંગમાં તિજોરીઓ ખુલ્લી હાલતમાં મળી આવી હતી અને રોકડ, દાગીના તેમજ મોબાઈલ ફોનની ચોરી થઈ હોવાનું કહેવાય છે.
વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું
આ દરમિયાન, વિમાનનું અત્યંત મહત્ત્વપૂર્ણ બ્લેક બોક્સ એરપોર્ટ ઓથોરિટી દ્વારા સુરક્ષિત રીતે લઈ લેવામાં આવ્યું છે. આ બ્લેક બોક્સ વિમાન ક્રેશના કારણો અને તે સમયની પરિસ્થિતિ અંગેની મહત્ત્વની જાણકારી પૂરી પાડશે. સમગ્ર ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે.
ઈમરજન્સી હેલ્પલાઈન નંબર જાહેર
રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં. 079-232-51900 અને મોબાઈલ નં. 9978405304 ઉપર સંબંધિતો સંપર્ક કરી શકશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી ટ્વિટ

દુર્ઘટના સ્થળે આગ કાબૂમાં, બચાવ કામગીરી ઝડપી બનાવાઈ
અત્યારે ઘટનાસ્થળેથી મળતી માહિતી અનુસાર વિમાનને કારણે લાગેલી આગ કાબૂમાં આવી ગઇ છે અને એનડીઆરએફ તથા અન્ય બચાવ ટુકડીઓ દ્વારા બચાવ કામગીરી ઝડપી બનાવવામાં આવી છે.
15 જેટલાં રેસિડેન્ટ ડૉક્ટર ઈજાગ્રસ્ત
આ વિમાન જ્યાં તૂટી પડ્યું હતું એ રહેણાંક ઈમારત સિવિલ હોસ્પિટલની હોવાની માહિતી મળી રહી છે. જેના કારણે 15 જેટલા રેસિડેન્ટ ડૉક્ટરો પણ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઈમારત આગમાં લપેટાઈ જતાં ધૂમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા.
નાગરિકોને દુર્ઘટનાસ્થળેથી દૂર રહેવા અપીલ
માહિતી અનુસાર લોકોને દુર્ઘટના સ્થળ તથા સિવિલ હોસ્પિટલ નજીક ખોટી ભીડ ન કરવા અપીલ કરવામાં આવી છે અને આ સાથે દુર્ઘટનાસ્થળથી દૂર રહેવા જણાવાયું છે. આ સાથે ડૉક્ટરોની ટીમ અને સહાયકકર્મીઓને તાત્કાલિક હાજર થવા ફરમાન કરાયું છે.
#WATCH | Debris at Air India plane crash site in Ahmedabad; Fire Services and other agencies present at the site pic.twitter.com/z9XsemwDnx
— ANI (@ANI) June 12, 2025
અમિત શાહ પણ અમદાવાદ આવવા રવાના
માહિતી અનુસાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદ આવવા રવાના થયા છે.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અમદાવાદ આવી પહોંચ્યા
વિમાન દુર્ઘટનાની જાણકારી મળતાં જ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અમદાવાદ આવી પહોંચ્યા. તેઓ કડી ગયા હતા.
મૃતકોમાં 8 ડૉક્ટર હોવાની માહિતી
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વિમાનમાં કુલ 242 મુસાફરો હતા જેમાં 12 ક્રૂ મેમ્બર્સ હતા. હાલમાં મળી આવેલા મૃતદેહોમાં 8 જેટલાં ડૉક્ટરો હોવાની જાણકારી મળી રહી છે.
વિમાનમાં કયા કયા દેશોના લોકો સવાર હતા?
1 કેનેડિયન નાગરિક
53 બ્રિટનના નાગરિક
7 પોર્ટુગલના નાગરિક
169 ભારતીય નાગરિક

પીએમ મોદી થયા એક્ટિવ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે નાગરિક ઉડ્ડયન મંત્રી જોડે કરી વાતચીત, ઘટનાની સ્થિતિ વિશે જાણકારી મેળવી. તેમણે આ મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલને પણ કોલ કર્યો હતો અને ઘટના વિશે તાગ મેળવ્યો હતો. એવી માહિતી છે કે પીએમ મોદી અને અમિત શાહ અમદાવાદ આવવા રવાના થઈ ગયા છે.
પેસેન્જરની યાદી સામે આવી, પહેલા જ પાનામાં રૂપાણીનું નામ
અમદાવાદ એરપોર્ટ અનિશ્ચિતકાળ માટે બંધ
આગામી અહેવાલ સુધી અમદાવાદ એરપોર્ટ પર તમામ ફ્લાઇટોનું સંચાલન અનિશ્ચિતકાળ માટે અટકાવી દેવામાં આવ્યું છે.
25થી વધુ મૃતદેહો બળી ગયેલી હાલતમાં મળ્યાં
અત્યાર સુધી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર 25 થી 30 મૃતદેહોને કાઢી લેવામાં આવ્યા છે જે મોટાભાગે બળી ગયેલી હાલતમાં મળ્યાં છે.
ઉડાન ભરતાં જ વિમાન બે મિનિટમાં ક્રેશ
સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ 1.38 વાગે ટેક ઓફ થઈ હતી. આંખના પલકારામાં બે મિનિટમાં જ વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાયો હતો. જેથી વિમાન બિલ્ડિંગ સાથે ટકરાઈ ક્રેશ થયુ હતું. વિમાન ધડાકાભેર ક્રેશ થતાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સીએમને કર્યો કોલ
આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફોન કરીને ઘટનાની સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી. સીએમ હાલમાં સુરતમાં હતા અને તેઓ અમદાવાદ આવવા રવાના થઇ ગયા છે. બીએસએફની ટીમે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે. દુર્ઘટનાસ્થળેથી જેવી તસવીરો સામે આવી રહી છે તે વિચલિત કરી દે તેવી છે.
ફ્લાઇટ દુર્ઘટના માં મોટા ભાગના મુસાફરો ગુજરાતી હોવાનું અનુમાન
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી છે. જો કે, આ ઘટનામાં જાનહાનિ કે ઈજાગ્રસ્તોનો ચોક્કસ આંકડો હજુ સુધી મળી શક્યો નથી. આ ફ્લાઇટમાં મોટા ભાગના મુસાફરો ગુજરાતી હોવાનું અનુમાન છે.
સિવિલ હૉસ્પિટલના તબીબોને ફરજ પર હાજર થવા આદેશ
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સિવિલ હૉસ્પિટલના તમામ ડૉક્ટરોને ફરજ પર હાજર થવાના આદેશ અપાયા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ સિવિલ હૉસ્પિટલ જવા માટે રવાના થઈ ગયા છે.
ફાયર બ્રિગેડ, પોલીસ, BSF દ્વારા બચાવ કાર્ય શરુ
આ દરમિયાન ઈજાગ્રસ્તોની સહાય માટે તાત્કાલિક ધોરણે ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ પહોંચી ગઈ છે. આ વિમાનમાં 200થી વધુ મુસાફરો હોવાની માહિતી મળી રહી છે. આ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડની ત્રણ ગાડીનો કાફલો, પોલીસ, NDRF અને BSF જવાનો પણ બચાવકાર્ય માટે પહોંચી ગયા છે અને ઈજાગ્રસ્તોને સિવિલ હૉસ્પિટલ ખસેડાઈ રહ્યા છે.
સિવિલ હૉસ્પિટલની હોસ્ટેલ-મેસ પર પ્લેન ક્રેશ?
પ્રાથમિક અહેવાલો પ્રમાણે આ પ્લેન ક્રેશ સિવિલ હૉસ્પિટલની રેસિડેન્શિયલ હોસ્ટેલ અને મેસ પર પડ્યું હોવાનું કહેવાય છે. આ દરમિયાન એટલો મોટો ધડાકો થયો હતો કે, સિવિલ હૉસ્પિટલનો સ્ટાફ અને દર્દીઓ પણ ગભરાઈ ગયા હતા. એટલું જ નહીં, અનેક દર્દીઓના બ્લડપ્રેશર પણ વધી ગયા છે. ફરજ પરના તબીબોએ પણ પુષ્ટિ કરી છે કે, ધડાકાના કારણે અનેક દર્દીઓની સ્થિતિ નાજુક છે.
વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા
https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/
