ગુજરાત સરકારે રાજ્યના વીજ ગ્રાહકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના નાણાં મંત્રી અને ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ જાહેરાત કરી છે કે ફ્યુઅલ સરચાર્જમાં 100 યુનિટ પર મળશે 15 રૂપિયા નો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડો 1 જુલાઈ 2025થી અમલમાં આવશે અને રાજ્યની ચાર સરકારી વીજ કંપનીઓ — PGVCL, MGVCL, UGVCL અને DGVCLના તમામ ગ્રાહકોને તેનો સીધો લાભ મળશે.
હાલમાં ફ્યુઅલ સરચાર્જ પ્રતિ યુનિટ 2.45 રૂપિયા વસૂલવામાં આવે છે, જે હવે ઘટીને 2.30 રૂપિયા થઈ જશે. ઉદાહરણરૂપે, જો કોઈ ગ્રાહક 100 યુનિટ વીજળી વાપરે છે તો હાલ તેને 245 રૂપિયા ફ્યુઅલ સરચાર્જ ચૂકવવો પડે છે. નવી દરખાસ્ત મુજબ હવે તે જ વપરાશ માટે ફક્ત 230 રૂપિયા ભરવાના રહેશે, એટલે કે 15 રૂપિયાની સીધી બચત થશે.
રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 18 મહિનામાં સતત ત્રીજી વખત ફ્યુઅલ સરચાર્જ ઘટાડવામાં આવ્યો છે. માર્ચ 2024માં પ્રતિ યુનિટ 50 પૈસાનો ઘટાડો કરીને દર 3.35 રૂપિયાથી 2.85 રૂપિયા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઓક્ટોબર 2024માં વધુ 40 પૈસાનો ઘટાડો કરીને દર 2.45 રૂપિયા નક્કી થયો હતો. તાજેતરમાં ફરી 15 પૈસાનો ઘટાડો થતાં હવે ફ્યુઅલ સરચાર્જ 2.30 રૂપિયા થયો છે. આમ, કુલ મળીને 18 મહિનામાં 1 રૂપિયા 5 પૈસાનો ઘટાડો થયો છે, જેના કારણે 100 યુનિટ વીજળી વાપરતા ગ્રાહકોને 105 રૂપિયાની બચત થશે.
નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે આ પગલાંનો સીધો લાભ રાજ્યના અંદાજે 1.75 કરોડ વીજ ગ્રાહકોને મળશે. જુલાઈથી સપ્ટેમ્બર 2025 દરમ્યાન લોકોના વીજ બિલમાં કુલ મળી 400 કરોડથી વધુનો બોજ હળવો થશે. તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકાર ગ્રાહકોને સસ્તી અને સાતત્યપૂર્વક વીજળી ઉપલબ્ધ કરાવવાનો સંકલ્પ ધરાવે છે. ફ્યુઅલ અને પાવર પર્ચેઝ પ્રાઈસ એડજસ્ટમેન્ટ (FPPPA)ના અસરકારક સંચાલન દ્વારા વીજ ખરીદ ખર્ચ ઘટાડવામાં સફળતા મળી છે, જેના કારણે ગ્રાહકો પરનો વધારાનો બોજ ઓછી કરવા રાજ્ય સરકાર સક્ષમ બની છે.
રાજ્ય સરકારની આ નીતિ વીજ ખરીદી અને સંચાલન ક્ષેત્રે પારદર્શિતા તેમજ કાર્યક્ષમતાનું પ્રતિબિંબ છે. ઊર્જા મંત્રીના જણાવ્યા મુજબ, વીજ નિયમન આયોગ (GERC) દ્વારા કોઈ ફેરફાર ન થાય ત્યાં સુધી નવો દર યથાવત્ રહેશે.
GST કાઉન્સિલ બેઠક અને કોમ્પોસેશન સેસ અંગે ચર્ચા
આ પ્રસંગે નાણામંત્રીએ જણાવ્યું હતું કે આગામી બે દિવસમાં GST કાઉન્સિલની બેઠક યોજાવાની છે, જેમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાશે. તેમણે જણાવ્યું કે 2017થી 2022 સુધી કોમ્પોસેશન સેસ લાગુ હતો, પરંતુ કોરોના મહામારીના કારણે ઘટાડો થતાં તે લંબાવવામાં આવ્યો હતો. હવે આ સેસ ઓક્ટોબર 2025થી બંધ કરવામાં આવશે. સાથે જ, GSTમાં ઘટાડા અંગે પણ ચર્ચા થવાની છે.
ગુજરાત સરકારનો આ નિર્ણય વીજ ગ્રાહકો માટે મોટી રાહત સમાન છે અને ઊર્જા ક્ષેત્રમાં ખર્ચ ઘટાડવાના રાજ્યના પ્રયત્નોને વધુ ગતિ આપે છે.
વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા
https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/

