અમદાવાદ મહાનગરપાલિકા હેઠળ આવતા નરોડા વિસ્તારમાં આજે સવારે અચાનક અજીબ પરિસ્થિતિ સર્જાઈ હતી. હરિહર સોસાયટી, સૌરાષ્ટ્ર સોસાયટી અને આસપાસની અનેક સોસાયટીઓના રહીશો સવારે ઊઠ્યા ત્યારે તેમના પગના તળિયા એકદમ લાલ ચટાક જેવા થઈ ગયા હતા. આ સાથે જ ઘણા લોકોએ એવી પણ માહિતી આપી છે કે ગાડીના કાચ અથવા ઘર બહારના પાણી પર હાથ મૂકતા કે પાણી ઢોળતા તે પણ લાલ થઈ જાય છે. આ ઘટના બાદ નરોડા વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો છે અને લોકોમાં ચિંતા તથા ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ નરોડા ગામના તળ વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારોમાં રાત્રે કોઈ અજાણી ગંધ પણ અનુભવાઈ હતી. ઘણા લોકોએ કહ્યું કે “રાત્રે હવામાં કંઈક કેમિકલ જેવી તીવ્ર વાસ આવતી હતી, પરંતુ કોઈએ વિચાર્યું નહીં કે સવારે આવી સ્થિતિ સર્જાશે.” સવારે લોકોના પગ લાલ દેખાતા જ ચકચાર મચી ગઈ હતી અને બધા એકબીજાને પૂછવા લાગ્યા કે આ શું થયું?
લોકોનો શંકાનો તીર જીઆઇડીસી વિસ્તાર તરફ
રહેવાસીઓના જણાવ્યા મુજબ નરોડા જીઆઇડીસી વિસ્તારમાં અનેક કેમિકલ ફેક્ટરીઓ આવેલી છે. સ્થાનિકોના કહેવાં મુજબ આ ફેક્ટરીઓમાંથી અવારનવાર કેમિકલ કચરો, ગેસ અથવા ધૂમ્રપટ્ટી જેવી ઝેરી વસ્તુઓ છોડવામાં આવતી હોય છે, જેના કારણે આજુબાજુના લોકો વારંવાર તકલીફનો સામનો કરતા રહે છે. ઘણા રહેવાસીઓએ શંકા વ્યક્ત કરી છે કે આ વખતે પણ આ “લાલ પડતા પાણી” અને “લાલ પગ”ની પાછળ કોઈ કેમિકલ પ્રદૂષણ જ જવાબદાર હોઈ શકે.
સ્થાનિક આગેવાનો અને રહેવાસીઓએ તાત્કાલિકપણે કોર્પોરેશન અને પર્યાવરણ વિભાગને જાણ કરવાની કોશિશ કરી છે, પરંતુ અત્યાર સુધી અધિકારીઓ દ્વારા કોઈ સત્તાવાર સ્પષ્ટતા આપવામાં આવી નથી. જોકે પ્રાથમિક રીતે એવું માનવામાં આવી રહ્યું છે કે જીઆઇડીસી વિસ્તારની કોઈ ફેક્ટરીમાંથી કેમિકલ લીકેજ અથવા વાયુનું સ્રાવ થવાને કારણે હવામાં અથવા ધૂળમાં રહેલા કણો પાણી સાથે મિશ્રિત થઈ રહ્યા છે, જેનાથી લાલ પડવાનો અસાર દેખાઈ રહ્યો છે.
નરોડા માં રહીશોનું કહેવું – “આ બાબત ગંભીર છે, તાત્કાલિક કાર્યવાહી કરવી જરૂરી”
આ ઘટનાને લઈને લોકોમાં રોષ અને ભય બંને જોવા મળ્યા છે. એક રહીશે જણાવ્યું, “આજે પગ લાલ થયા છે, કાલે શું થશે તે ખબર નથી. બાળકો અને વૃદ્ધો માટે આ ખૂબ જોખમી બની શકે છે. જો આ કેમિકલ પ્રદૂષણ છે તો તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ.”
અન્ય રહેવાસીઓએ કહ્યું કે નરોડા વિસ્તારમાં આવી સમસ્યાઓ નવી નથી. “અવારનવાર રાત્રે કેમિકલની વાસ આવતી રહે છે, પરંતુ કોઈ કાર્યવાહી થતી નથી. જો કોર્પોરેશન અને જી.આઇ.ડી.સી. અધિકારીઓ ધ્યાન નહીં આપે તો આવનારા સમયમાં આ પ્રદૂષણ લોકોના સ્વાસ્થ્ય માટે મોટો ખતરો બની શકે છે.”
તંત્રની તપાસ જરૂરી
હાલમાં AMC અને GPCB (ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ)ને તાત્કાલિક પાણી અને હવાના નમૂનાઓ લેવાની જરૂર છે જેથી આ લાલ પડવાનું કારણ વૈજ્ઞાનિક રીતે જાણી શકાય. જો આ કેમિકલ પ્રદૂષણ સાબિત થાય, તો જવાબદાર ફેક્ટરીઓ સામે કડક પગલાં લેવાં જરૂરી છે.
નરોડાના લોકોની હાલની સ્થિતિ એ છે કે તેમને ખબર નથી કે આવું ફરી થશે કે નહીં. લોકો સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે અને અનેક પરિવારો precaution તરીકે બાળકોને બહાર જવા રોકી રહ્યા છે.
સ્થાનિક રહીશોની માંગ છે કે આ ઘટનાની તાત્કાલિક તપાસ કરીને સત્ય સામે લાવવામાં આવે અને જવાબદાર ફેક્ટરીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા
https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/


