અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે શહેરમાં પોલીસ કમિશનરની મંજૂરી વિના ડ્રોન (Drone-UAV) ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ પ્રતિબંધ 16 ઑક્ટોબર 2025 સુધી અમલમાં રહેશે. જો કોઈ વ્યક્તિ મંજૂરી લીધા વગર ડ્રોન ઉડાડશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને જાહેરનામાના ભંગ બદલ ગુનો પણ નોંધાશે.
શહેરની સુરક્ષાને ધ્યાનમાં રાખી નિર્ણય
પોલીસ કમિશનર શ્રી જી.એસ. મલિકે સ્પષ્ટ કર્યું છે કે અમદાવાદ શહેરમાં અનેક અગત્યના સ્થળો આવેલાં છે જેમ કે એરપોર્ટ, આર્મી કેન્ટોનમેન્ટ, સેન્ટ્રલ જેલ, વી.આઈ.પી./વી.વી.આઈ.પી. રહેઠાણ, પાવર સ્ટેશનો, મેટ્રો રેલ્વે, ઉદ્યોગિક એકમો, બ્રિજ તેમજ સરકારની અગત્યની કચેરીઓ. આ તમામ સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો જવાબ પોલીસ પર છે.
ભાંગફોડીયા તત્વો, દેશવિરોધી સંગઠનો અથવા આતંકવાદી તત્વો આ પ્રકારના ડ્રોન, રિમોટ કંટ્રોલ માઇક્રોલાઇટ એરક્રાફ્ટ કે પેરાગ્લાઇડર જેવા સાધનોનો ઉપયોગ કરી સુરક્ષાને પડકાર આપી શકે છે. તેથી શહેરની શાંતિ, કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે આ પ્રતિબંધ જરૂરી બન્યો છે.
ભૂતકાળના બનાવોથી સતર્કતા
પોલીસ કમિશનરે જણાવ્યું કે, ભૂતકાળમાં જમ્મુ-કાશ્મીર વિસ્તારમાં થયેલા ડ્રોન હુમલાના બનાવો એ સાબિત કરે છે કે આ ટેકનોલોજીનો દુરુપયોગ કરીને ભારે નુકસાન પહોંચાડી શકાય છે. આવા બનાવોથી શિખામણ લઈને અમદાવાદ શહેરમાં સુરક્ષા વધારવાના હેતુથી આ નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આ પ્રકારના હથિયારવાળા હુમલાથી લોકોના જાનમાલને જોખમ થવાની તેમજ શહેરમાં ભય અને અશાંતિનું વાતાવરણ પેદા થવાની શક્યતા નકારી શકાય નથી.
કુલ 201 સ્થળો પ્રતિબંધિત જાહેર
ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ની માર્ગદર્શિકા મુજબ અમદાવાદ શહેરની હદમાં કુલ 201 સ્થળોને ડ્રોન ઉડાડવા માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યા છે. તેમાં 36 સ્થળો “રેડ ઝોન” તરીકે જાહેર કરાયા છે જ્યાં ડ્રોન ઉડાડવો સંપૂર્ણપણે મનાઈ છે. ઉપરાંત 165 સ્થળો “યેલો ઝોન” તરીકે જાહેર થયા છે. અહીં ડ્રોન ઉડાડવા માટે DGCAની “ડિજિટલ સ્કાય” એપ્લિકેશન પર લોગિન કરી જરૂરી વિગતો દાખલ કરી તેમજ નિયમોનું પાલન કરીને જ પરવાનગી મેળવી શકાય છે. આ સિવાયના વિસ્તારો “ગ્રીન ઝોન” તરીકે માનવામાં આવે છે, જ્યાં પણ નિયમોનું પાલન ફરજિયાત છે.
નાગરિકોને ચેતવણી
પોલીસ કમિશનરે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ નાગરિક કે સંસ્થા જાહેરનામાનું ઉલ્લંઘન કરશે અને મંજૂરી વિના ડ્રોન ઉડાડશે તો તેમની સામે કડક કાનૂની કાર્યવાહી થશે. શહેરની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનો સમાધાન નહિ કરવામાં આવે.
સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા
આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે અમદાવાદ શહેર પોલીસ સુરક્ષા મુદ્દે સંપૂર્ણ રીતે સતર્ક છે. ટેક્નોલોજીના વધતા ઉપયોગ સાથે તેની ખોટી રીતે વપરાશ થવાની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા પૂર્વસાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. નાગરિકોએ પણ જવાબદારીપૂર્વક વર્તી શહેરની સુરક્ષા વ્યવસ્થામાં સહયોગ આપવો જરૂરી છે.
વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા
https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/

