અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં મુક્તિધામ નજીક આવેલા અમરનાથ એસ્ટેટમાં આવેલી અગરબત્તીની ફેક્ટરીમાં ગુરુવારની મોડીરાત્રે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આગ એટલી વિકરાળ હતી કે થોડા જ સમયમાં આખું કારખાનું આગની ઝપેટમાં આવી ગયું હતું. ઘટનાની જાણ થતાં અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસની કુલ 9 ફાયર બ્રિગેડ ગાડીઓ તાત્કાલિક નરોડા ઘટનાસ્થળે પહોંચી હતી અને સતત ત્રણથી ચાર કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આ સમગ્ર કામગીરી 6 ફેબ્રુઆરીની વહેલી સવાર સુધી ચાલી હતી.
મળતી માહિતી મુજબ, રાત્રે આશરે 11:30 વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં અમરનાથ એસ્ટેટ નરોડા ખાતે આગ લાગ્યાનો મેસેજ મળ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે આગ અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી. અગરબત્તીનું કારખાનું હોવાને કારણે તેમાં રહેલા દહનશીલ સામગ્રીના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. આગના જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળતા હતા, જેના કારણે આસપાસના રહેવાસીઓમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો.
ફાયર બ્રિગેડના જવાનો દ્વારા તાત્કાલિક અલગ અલગ દિશામાંથી પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો હતો. અગરબત્તીનો જથ્થો વધુ હોવાને કારણે આગ બુજાવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. અંદાજે બેથી ત્રણ કલાકની મહેનત બાદ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આગ બુજાવ્યા બાદ વહેલી સવાર સુધી કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેથી ફરીથી આગ ભભૂકી ન ઉઠે.
સૌથી રાહતની બાબત એ રહી કે ઘટનાના સમયે કારખાનામાં કોઈપણ કામદારો હાજર ન હોવાથી જાનહાની ટળી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે સાંજના સમયે અગરબત્તીની ફેક્ટરી બંધ થઈ જાય છે, જેના કારણે રાત્રે કોઈ કર્મચારી અંદર હાજર ન હતો. આગ લાગ્યાની જાણ થતાં સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક ફેક્ટરીના માલિકને ફોન દ્વારા જાણ કરી હતી, પરંતુ ફાયર બ્રિગેડ પહોંચે ત્યાં સુધી માલિક ઘટનાસ્થળે પહોંચ્યો નહોતો.
નરોડા વોર્ડના ભાજપના કોર્પોરેટર રાજેન્દ્ર સોલંકીને ઘટનાની જાણ થતાં તેઓ પણ તરત ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અમરનાથ એસ્ટેટની આસપાસ 30થી 40 રહેણાંક સોસાયટીઓ આવેલી છે, જેથી આગની ઘટના ગંભીર બની શકતી હતી. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે સંયુક્ત રીતે પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો.
હાલમાં અગરબત્તીની ફેક્ટરીના માલિક કોણ છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ શું છે તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી. ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનામાં કોઈ જાનહાની ન થતાં સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ આગની વિકરાળતાએ સુરક્ષા વ્યવસ્થાઓ અંગે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.
વધુ સમાચાર વાંચો :
CAR-T સેલ થેરેપીથી બ્લડ કેન્સરનો ઇલાજ હવે ગુજરાતમાં જ શક્ય
https://abplusnews.com/treatment-of-blood-cancer-with-car-t-cell/
