ગાંધીનગરના ઇતિહાસમાં બુધવારની સાંજ એક એવો ક્ષણ બની ગઈ, જેને લોકો વર્ષો સુધી યાદ રાખશે. અંબાપુર નર્મદા કેનાલ પાસે લૂંટ અને મર્ડરના આરોપી તરીકે ઓળખાતા તથા ‘ સાઈકો કિલર ’ નામે કુખ્યાત વિપુલ પરમારનો પોલીસ એન્કાઉન્ટર થયો. આ આખું ઓપરેશન ફિલ્મી એક્શન-થ્રીલર જેવું લાગતું હતું, જેમાં પળેપળે ગોળીઓના અવાજ ગુંજ્યા અને પોલીસની બહાદુરી દેખાઈ.
કઈ રીતે બન્યું એન્કાઉન્ટર?
23 સપ્ટેમ્બરે રાજકોટના માંડા ડુંગરથી પકડાયેલા સાઈકો કિલર વિપુલને ગાંધીનગર LCBના હવાલે સોંપવામાં આવ્યો હતો. બીજા જ દિવસે એટલે કે 24 સપ્ટેમ્બરે સાંજે તેને અંબાપુર કેનાલ વિસ્તારમાં રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યો. બે અલગ ગાડીઓમાં પોલીસ ટીમ રવાના થઈ હતી. પહેલી ગાડીમાં આરોપી, બે PSI અને હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ હતા, જ્યારે પાછળની ગાડીમાં PI દિવાનસિંહ વાળા, PI હાર્દિક પરમાર અને અન્ય જવાનો હતાં.
જેમ જ ગાડી ધીમી પડી, તેમ આરોપીએ PSI પાટડિયાની બાજુમાંથી રિવોલ્વર ઝૂંટવી લીધી. કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહે તેને કાબૂમાં લેવા ઝપાઝપી કરી, પણ આરોપીએ ફાયરિંગ કરી તેમને ઈજાગ્રસ્ત બનાવ્યા. આ ગોળી PSIની બાજુથી પસાર થઈ ગાડીનો કાચ તોડી બહાર નીકળી. રાજેન્દ્રસિંહ ઘાયલ થતા આરોપી હાથકડી સાથે જ ગાડીમાંથી કૂદી ગયો.
ફાયરિંગ વચ્ચે પોલીસનો પ્રતિકાર
બહાર આવતા જ સાઈકો કિલર વિપુલે પાછળ આવતી પોલીસ વાન પર આડેધડ ગોળીઓ ચલાવી. ગોળીઓના વરસાદમાં PI વાળાના કાનની બાજુથી ગોળી પસાર થઈ ગઈ, પરંતુ તેઓ બચી ગયા. આરોપી સતત ઝાડીઓ તરફ દોડી રહ્યો હતો અને પોલીસ પર ગોળીબાર કરતો રહ્યો. પ્રતિસાદ રૂપે PI વાળા અને PI પરમારે સર્વિસ રિવોલ્વરથી ફાયરિંગ કર્યું. પહેલા આરોપીના પગમાં ગોળી વાગી, છતાં તે ભાગતો રહ્યો. અંતે કમર અને પીઠમાં ગોળી વાગતા તે રોડથી 30 મીટર દૂર ઝાડીઓમાં ઢળી પડ્યો. તાત્કાલિક તપાસ બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો.
શા માટે બન્યો ‘ સાયકો કિલર ’?
તપાસમાં ખુલ્યું કે જામીન પર છૂટેલો સાઈકો કિલર વિપુલ પરમાર પ્રેમી-પંખીડાંને નિશાન બનાવી લૂંટ અને હત્યા કરતો હતો. પોતાના લગ્ન ન થતા તે માનસિક રીતે અસંતુલિત બની ગયો હતો. સાવકી માતા સાથેના મતભેદ, પિતાના બીજા લગ્ન અને જીવનમાં મળેલી નિષ્ફળતાઓ તેને હિંસક બનાવતી. મેટ્રિમોનિયલ સાઇટ પર નામ નોંધાવ્યા છતાં લગ્ન ન થતા તે વધુ ઉશ્કેરાયો. તેના ગુનાઓમાં પ્રેમી યુગલો પર છરીથી હુમલા, લૂંટ, હત્યા તેમજ પ્રોફેસરની લૂંટ સામેલ હતી. ચાર વર્ષ પહેલાં પણ અડાલજ કેનાલ પાસે એક યુવાનની હત્યા કરી ચૂક્યો હતો.
અંતે મળ્યો ન્યાય
20 સપ્ટેમ્બરે કેનાલ પાસે કારમાં બેઠેલા કપલ પર હુમલો કરી યુવકની હત્યા અને યુવતી પર હુમલા પછી તે ફરી એકવાર ચર્ચામાં આવ્યો હતો. આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા લોકોમાં પોલીસની કામગીરી પ્રત્યે દબાણ વધી ગયું હતું. અંતે, 24 સપ્ટેમ્બરના એન્કાઉન્ટરથી તેની ક્રૂરતા પર પડદો પડ્યો.
હાલ, આરોપીનો મૃતદેહ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે જ્યાં પેનલ પોસ્ટમોર્ટમ થશે. પોલીસે સમગ્ર કેનાલ વિસ્તાર કોર્ડન કરી તપાસ શરૂ કરી છે. આ એન્કાઉન્ટર માત્ર એક ક્રિમિનલનો અંત નથી, પરંતુ શહેરના લોકોને રાહતનો શ્વાસ અપાવતો ઐતિહાસિક પ્રસંગ બની રહ્યો છે.
વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા
https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/


