દુનિયાભરમાં પ્રખ્યાત ગુજરાતનો ગરબા, એટલે કે નવરાત્રિ પર્વ હવે આડે ગણતરીના દિવસોમાં શરૂ થવાનો છે. ખેલૈયાઓની સુરક્ષા ખાસ કરીને મહિલાઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે ગુજરાત પોલીસ અને ફાયર વિભાગે ફુલપ્રૂફ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન રાજ્યભરમાં 4,000થી વધુ સ્થળોએ ગરબાનું આયોજન થવાનું છે.
મહિલા સુરક્ષાને લઈને પોલીસનો એક્શન પ્લાન
ગુજરાત પોલીસ દ્વારા ખાસ SHE ટીમોને તહેનાત કરવામાં આવશે, જે ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા સ્થળોએ હાજરી આપશે અને રોમિયોગીરી કરતા નબીરાઓ પર ચાંપતી નજર રાખશે. પાર્ટીપ્લોટ અને ગરબા ગ્રાઉન્ડના પાર્કિંગ ઝોન તેમજ આસપાસના ડાર્ક સ્પોટ પર લાઈટ ફરજિયાત લગાવવામાં આવશે, જેથી મહિલાઓ નિર્ભયતાથી ઉત્સવનો આનંદ માણી શકે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 61 ગરબા આયોજકોએ પોલીસમાં અરજી કરી છે. આ તમામ અરજીઓ સ્થાનિક પોલીસ સ્ટેશન અને ટ્રાફિક પોલીસ પાસે મોકલી દેવાઈ છે. જોકે હજી સુધી એકપણ ગરબા આયોજકને અંતિમ મંજૂરી આપવામાં આવી નથી.
ફાયર એનઓસી ફરજિયાત
ફાયર વિભાગે નવરાત્રિના આયોજકો માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. અમદાવાદ ફાયરબ્રિગેડના ફાયર ઓફિસર અમિત ડોંગરાના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં ફક્ત 8 આયોજકોએ ફાયર NOC માટે અરજી કરી છે. સ્થળ નિરીક્ષણ બાદ જ મંજૂરી આપવામાં આવશે. નિયમ મુજબ ગરબા શરૂ થાય તેના ઓછામાં ઓછા ત્રણ દિવસ પહેલા આયોજકોએ ફાયર એનઓસી માટે અરજી કરવાની રહેશે. ફાયર એનઓસી વગર ગરબા શરૂ કરવાની છૂટ આપવામાં નહીં આવે.
આયોજકોને https://fscop.gujfiresafetycop.in/ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. સાથે જ તમામ દસ્તાવેજોની હાર્ડ કોપી જમાલપુર ફાયર સ્ટેશન ખાતે જમા કરાવવી ફરજિયાત રહેશે. આયોજકોએ રૂ. 300ના સ્ટેમ્પ પેપર પર સેલ્ફ ડિક્લેરેશન આપવું પડશે કે ફાયર સેફ્ટીના તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું છે.
જરૂરી સુરક્ષા વ્યવસ્થા
ફાયર વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ગરબા સ્થળે આગથી સુરક્ષા માટેના સાધનો રાખવા જરૂરી છે. દરેક 50 મીટરે 200 લિટરના પાણીના બેરલ તથા બે ડોલ રેતી ઉપલબ્ધ હોવી જોઈએ. પંડાલનું વાયરિંગ નિયમ મુજબ કરવું ફરજિયાત છે અને મંડપ શાળાઓ, હોસ્પિટલ કે જ્વલનશીલ પદાર્થના ગોડાઉનથી દૂર રાખવાનો રહેશે. દરરોજ કેટલા લોકો આવે છે તેનો રેકોર્ડ પણ આયોજકોને રાખવો ફરજિયાત બનાવાયો છે.
સુરત અને વડોદરામાં કડક બંદોબસ્ત
સુરતમાં 1,000થી વધુ ગરબા આયોજનોને ધ્યાનમાં રાખી 10,000થી વધુ પોલીસ જવાનો, હોમગાર્ડ અને ટીઆરબીના જવાનો તહેનાત કરવામાં આવશે. SHE ટીમો પણ મેદાનમાં રહેશે. વડોદરામાં 500થી વધુ સ્થળે ગરબા યોજાશે. પોલીસ કમિશ્નરે આયોજકો સાથે બેઠક કરીને લાઇટિંગ, એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ, પાર્કિંગ, CCTV, ખાનગી સિક્યુરિટી અને મેડિકલ સુવિધાઓ જેવી બાબતો ફરજિયાત કરવાની સૂચના આપી છે.
ફાયર વિભાગનો સ્પષ્ટ સંદેશ
ફાયર વિભાગે જણાવ્યું છે કે તેઓ નવરાત્રિના દિવસોમાં ગરબા સ્થળે બંદોબસ્તમાં હાજર નહીં રહે, પરંતુ અનિચ્છનીય ઘટના બને તો તાત્કાલિક પહોંચી વળવા સજ્જ રહેશે. તેથી આયોજકોને સલામતી સાધનોનો ઉપયોગ આવડતો વ્યક્તિ હાજર રાખવો
ગુજરાતના ચાર મોટા શહેરો સહિત હજારો સ્થળે નવરાત્રિ પર્વની ઉજવણી થવાની છે. ખેલૈયાઓ સુરક્ષિત રીતે ઉત્સવનો આનંદ માણે તે માટે પોલીસ તથા ફાયર વિભાગની તૈયારી દૃઢ અને સજ્જ દેખાઈ રહી છે. મહિલા સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને આગ સુરક્ષા માટે કડક નિયમો લાગુ થતા નવરાત્રિ 2025 ખેલૈયાઓ માટે આનંદમય અને સુરક્ષિત બનશે.
વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા
https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/


