અમદાવાદ સહિત ગુજરાતમાં છેલ્લા દસ દિવસથી બેવડી ઋતુ નો અનુભવ થઈ રહ્યો છે. દિવસે તાપમાન ઉંચુ રહેતા કાળઝાળ ગરમી હોય છે, જ્યારે સાંજે આંશિક ઠંડક અનુભવાય છે. આ કારણે વાયરસ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનમાં વધારો થયો છે. લોકોમાં શરદી, ખાસી, તાવ જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે, જેના કારણે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી ગઈ છે.
બેવડી ઋતુ ના સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી
ગત સપ્તાહ દરમિયાન સોલા સિવિલ હોસ્પિટલમાં OPDમાં 7,744 દર્દીઓ પહોંચ્યા હતા. અહીંના ડોકટરો અનુસાર, એક જ સપ્તાહમાં 3,944 દર્દીઓને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે હોસ્પિટલમાં દાખલ કરવાના આવ્યા. ખાસ કરીને વાયરલ ઇન્ફેક્શનના 130 જેટલા કેસ નોંધાયા. આ ઉપરાંત, બેવડી ઋતુ ના કારણે મચ્છરજન્ય રોગચાળાના કેસોમાં પણ વધારો થયો છે. મેલેરિયાના 4 અને ડેન્ગ્યુનો 1 કેસ નોંધાયો હતો, જ્યારે ચિકનગુનિયાના કોઈ કેસ નોંધાયા ન હતા.

પાણીજન્ય રોગચાળાના કેસોમાં વધારો
ઉલ્લેખનીય છે કે ઉનાળાની તીવ્રતાને કારણે લોકો ઠંડા પીણાં વધુ સેવન કરી રહ્યા છે, જેના કારણે પાણીજન્ય રોગચાળો ફેલાવાની શક્યતા વધી છે. ગત સપ્તાહ દરમિયાન ટાઈફોઈડના 10, ઝાડા ઉલ્ટીના 84 અને વાયરસ હિપેટાઈટિસના 21 કેસ નોંધાયા હતા. આ સાથે, બેવડી ઋતુ ના કારણે બાળ વિભાગમાં સામાન્ય રીતે 70-80 બાળકો દર સપ્તાહે સારવાર માટે આવે છે, પરંતુ ગત સપ્તાહે 53 બાળકો હોસ્પિટલમાં દાખલ કરવાના આવ્યા.
સાવચેતી રાખવી જરૂરી
હેલ્થ એક્સપર્ટ્સ જણાવે છે કે હાલની હવામાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકો સ્વચ્છ પાણી પીવે, ઠંડા અને બહારના ખોરાકથી દૂર રહે અને શારીરિક તંદુરસ્તી જાળવી રાખે. તેમજ, બીમારીઓથી બચવા માટે તબીબની સલાહ લેવી જરૂરી છે.
