અમદાવાદ, તા. 22 ઑગસ્ટ – PM મોદી 25 અને 26 ઑગસ્ટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ અવસર પર અમદાવાદના નિકોલ ખાતે ખોડલધામ ગ્રાઉન્ડમાં તેઓ સાંજે 4:30 વાગ્યે ₹5,477 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. કુલ 22 જેટલા પ્રોજેક્ટોનો સમાવેશ થનારા આ કાર્યક્રમમાં અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગરના રેલવે, અર્બન ડેવલપમેન્ટ, રોડ એન્ડ બિલ્ડિંગ તથા રેવન્યુ વિભાગો સંકળાયેલા છે. સાથોસાથ વડાપ્રધાન સાબરમતીથી કટોસણ રોડ ટ્રેન અને કાર લોડેડ ટ્રેનને લીલી ઝંડી આપશે.
રેલવે વિકાસના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ
કાર્યક્રમમાં મહેસાણા-પાલનપુર વચ્ચે 65 કિમી રેલ લાઈન ડબલિંગનું લોકાર્પણ થશે. ઉપરાંત બેચરાજીથી રણુજા સુધી 40 કિમી લંબાઈની લાઈનના ગેજ કન્વર્ઝનનું કામ પૂર્ણ થયું છે. અમદાવાદ-રાજકોટ રેલવે માર્ગ પર વિરમગામના સોકલી નજીક રૂ. 70 કરોડના રેલવે અંડરબ્રિજના ખાતમુહૂર્ત સાથે ચાંદખેડામાં 66 KV સબ સ્ટેશનનું લોકાર્પણ પણ થશે.
અર્બન ડેવલપમેન્ટ અને રોડ પ્રોજેક્ટો
શહેરના શેલા, મણિપુર, ગોધાવી, સનાથલ અને તેલાવ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે રૂ. 110 કરોડના ડ્રેનેજ કાર્યો હાથ ધરાશે. ચાંદખેડા અને નારણપુરામાં રૂ. 50 કરોડથી વધુના વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરનું ખાતમુહૂર્ત થશે. ઔડા દ્વારા રૂ. 1,500 કરોડથી વધુના ખર્ચે શહેરની મુખ્ય રોડોને સિક્સલેન બનાવવા કામગીરી શરૂ થશે.
હાઉસિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ
વાડજ ખાતે રામાપીર ટેકરા વિસ્તારમાં રૂ. 133.42 કરોડના ખર્ચે બનાવાયેલા 1,449 આવાસો અને 130 દુકાનોનું લોકાર્પણ કરવામાં આવશે. સીજી રોડ અને લો ગાર્ડન આસપાસ 6.6 કિમી વિસ્તારનું રૂ. 100 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ થશે જેમાં સ્કલ્પચર, પ્લે ગાર્ડન, ફૂટપાથ અને બ્યુટિફિકેશનનો સમાવેશ છે. આ ઉપરાંત કાલુપુર રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટ અંતર્ગત અમરસિંહ ચૌધરી રેલવે ઓવરબ્રિજ (અસારવા)નું રૂ. 66 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત થશે, જેના કારણે 1.50 લાખથી વધુ વાહનચાલકોને લાભ મળશે.
આવાસ યોજનાઓમાં સિદ્ધિ
PM આવાસ યોજના અંતર્ગત વર્ષ 2016થી અત્યાર સુધી ગુજરાતમાં 6 લાખથી વધુ આવાસો પૂરાં થયા છે. 2025-26 દરમિયાન 2.78 લાખ આવાસોના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં 39,092 આવાસો પૂર્ણ કરવામાં આવ્યા છે. ગુજરાત એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સ (ARHCs) યોજના હેઠળ પ્રોજેક્ટ મંજૂર કરાવનાર પ્રથમ રાજ્ય બન્યું હતું. ગ્લોબલ હાઉસિંગ ટેક્નોલોજી ચેલેન્જ અંતર્ગત રાજકોટમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત 1,144 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે.
નવી ટ્રેન સેવા – સમય અને પૈસા બંનેમાં બચત
8 વર્ષ બાદ કડીથી સાબરમતી વચ્ચે પહેલી મેમુ ટ્રેન શરૂ થશે. વડાપ્રધાન વર્ચ્યુઅલ રીતે આ સેવા અને બેચરાજીથી કાર-લોડેડ માલગાડીનું ઉદ્ઘાટન કરશે. આ સેવા વિદ્યાર્થીઓ, દૈનિક યાત્રીઓ અને કામદારો માટે ઝડપી, સુરક્ષિત અને કિફાયતી સાબિત થશે. હાલ કડી-અમદાવાદ બસ ભાડું રૂ. 80-150 અને ટેક્સી ભાડું રૂ. 800-1200 છે, જ્યારે ટ્રેન યાત્રા ઓછા સમયમાં અને ઓછા ખર્ચે પૂરી થશે.
નિકોલમાં ભવ્ય જાહેર સભા અને સાંસ્કૃતિક કાર્યક્રમો
PM મોદી નિકોલમાં જાહેર સભાને પણ સંબોધશે. AMC અને શહેર ભાજપ દ્વારા સમગ્ર વિસ્તારમાં લાઇટિંગ, સ્વચ્છતા થીમ અને વિવિધ બેનરો દ્વારા સજાવટ થઈ રહી છે. એરપોર્ટથી ગાંધીનગર જતા માર્ગ પર 12 જેટલા સ્ટેજ બનાવવામાં આવશે જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
રાજકીય મહત્ત્વ
સૂત્રો મુજબ, ડિસેમ્બર-જાન્યુઆરીમાં યોજાનારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાનમાં રાખી નિકોલમાં PM મોદી ની જાહેર સભા રાખવામાં આવી છે. પૂર્વ વિસ્તારમાં નાગરિકોની નારાજગી વચ્ચે આ કાર્યક્રમ ભાજપ માટે મહત્વપૂર્ણ ગણાઈ રહ્યો છે.
વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા
https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/



