અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ના ખાનપુર વિસ્તારમાં આવેલા વોક વે પરથી એક યુવક અને યુવતીએ હાથમાં દુપટ્ટો બાંધી નદીમાં ઝંપલાવી આપઘાત કરી દીધો. આ ઘટનાને લઈ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું અને બંનેના મૃતદેહ સાબરમતી રિવરફ્રન્ટ માંથી બહાર કાઢ્યા. 108 એમ્બ્યુલન્સની ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતાં બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
યુવતીના હાથ પર ‘પ્રિયાંશી’ નામ લખેલું, તાત્કાલિક તપાસ શરૂ
સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. યુવતીના ડાબા હાથ પર ‘પ્રિયાંશી’ નામ લખેલું છે અને એક ટેટૂ પણ ત્રોફાવેલું છે. જો કે, બંનેના ઓળખના કોઈ પુરાવા નથી મળ્યા. યુવતી પાસે એક બેગ પણ મળી આવી હતી, પરંતુ તે ખાલી હતી.

સાબરમતી રિવરફ્રન્ટ પર ફાયર બ્રિગેડે આપ્યો નિવેદન
આ અંગે અમદાવાદ ફાયર બ્રિગેડના સાબરમતી રિવરફ્રન્ટ રેસ્ક્યુ ટીમના કર્મચારી ભરત માંગેલાએ જણાવ્યું હતું કે, સાંજે લગભગ 4 વાગ્યે ઇમરજન્સી મેસેજ મળ્યો હતો કે ખાનપુર કામા હોટલ પાસેના વોકવે પર ઘાટ નંબર 9 નજીકથી એક યુવક અને યુવતીએ સાબરમતી નદીમાં ઝંપલાવ્યું છે. માહિતી મળતાની સાથે જ રેસ્ક્યુ ટીમ બોટ સાથે ઘટના સ્થળે પહોંચી હતી.
હાથ એકબીજા સાથે બાંધેલા, સંભાવિત પ્રેમ સંબંધનો ઈશારો
ફાયર બ્રિગેડે બંનેના મૃતદેહ બહાર કાઢ્યા ત્યારે તેમના હાથ એક દુપટ્ટાથી બાંધેલા હતા. પ્રાથમિક તારણ પ્રમાણે, આ ઘટના સંભાવિત પ્રેમ સંબંધના કારણે થયેલી લાગતી હોવાની શક્યતા પોલીસ દર્શાવી રહી છે.
પોલીસે આઈડેન્ટિફિકેશન માટે કાર્યવાહી શરૂ કરી
પોલીસે બંનેના ફોટોગ્રાફ્સ વિવિધ પોલીસ સ્ટેશનોમાં મોકલી દીધા છે અને તેમના વાલી-વારસોની શોધખોળ શરૂ કરી છે. વધુ તપાસ ચાલી રહી છે.
