અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે ફરી એકવાર સોનાની દાણચોરી સામે મોટી કાર્યવાહી કરી છે. સતત બીજા દિવસે અમદાવાદ કસ્ટમ્સ એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા સોનાની દાણચોરી ના બે અલગ અલગ કેસ ઝડપી પાડવામાં આવ્યા છે. જેદાહ અને બેંગકોકથી આવેલી ફ્લાઈટોમાં મુસાફરો પાસેથી કુલ મળીને રૂ. 1.69 કરોડથી વધુ કિંમતનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે, જેને કારણે એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા અને ચેકિંગ વધુ કડક બનાવવામાં આવ્યું છે.
કસ્ટમ્સ અધિકારીઓએ આજે જેદાહથી અકાસા એરની ફ્લાઈટ દ્વારા અમદાવાદ પહોંચેલી ચાર મહિલાઓ પાસેથી કુલ 945 ગ્રામ સોનું ઝડપી પાડ્યું હતું. જપ્ત કરાયેલા સોનાની બજાર કિંમત અંદાજે રૂ. 1.52 કરોડ થાય છે. નિયમિત ચેકિંગ દરમિયાન અધિકારીઓને આ ચાર મહિલાઓની હરકતો શંકાસ્પદ લાગી હતી, જેના આધારે તેમની વિગતવાર તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ ચારેય મહિલાઓને એક ટ્રાવેલ એજન્ટ દ્વારા સોનું સોંપવામાં આવ્યું હતું. એજન્ટ પણ મુસાફરો સાથે જ મુસાફરી કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. કસ્ટમ્સ વિભાગે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને આ કેસમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે અને આ દાણચોરી પાછળના મોટા રેકેટનો પર્દાફાશ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, એક દિવસ અગાઉ એટલે કે 31 જાન્યુઆરી 2026ના રોજ પણ અમદાવાદ એરપોર્ટ પરથી સોનાની દાણચોરી નો એક મોટો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે બેંગકોકથી અમદાવાદ આવી રહેલી વિયેટજેટ ફ્લાઈટ (VZ 750) દ્વારા આવેલા મુસાફર સુનિલ ભાટિયાને 108.07 ગ્રામ સોના સાથે ઝડપી લીધો હતો.
પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે મળેલી ચોક્કસ બાતમી મુજબ સુનિલ ભાટિયાની અટકાયત કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અધિકારીઓ ચોંકી ગયા હતા કારણ કે મુસાફરે પોતાના માઉથમાં કાળા ટેપમાં લપેટીને ચાર કેપ્સ્યુલ આકારના સોનાના બિસ્કિટ છુપાવ્યા હતા. જપ્ત કરાયેલા સોનાની બજાર કિંમત અંદાજે રૂ. 17.39 લાખ થાય છે.
કસ્ટમ્સ વિભાગે બંને કેસમાં કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ કાર્યવાહી કરીને સોનું જપ્ત કર્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક સમયથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો મારફતે સોનાની દાણચોરીના પ્રયાસોમાં વધારો થયો છે, જેને પગલે એરપોર્ટ પર ચેકિંગ અને સર્વેલન્સ વધુ કડક કરવામાં આવ્યું છે.
અમદાવાદ કસ્ટમ્સ વિભાગ દ્વારા આ બંને મામલાઓમાં આગળની તપાસ હાથ ધરવામાં આવી છે અને દાણચોરીના સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. સતત મળી રહેલી સફળતાઓને કારણે દાણચોરોમાં ખળભળાટ મચી ગયો છે.
વધુ સમાચાર વાંચો :
CAR-T સેલ થેરેપીથી બ્લડ કેન્સરનો ઇલાજ હવે ગુજરાતમાં જ શક્ય
https://abplusnews.com/treatment-of-blood-cancer-with-car-t-cell/

