અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના પૂર્વ પટ્ટામાં આવેલા નિકોલ વોર્ડના કઠવાડા અને આસપાસના વિસ્તારોમાં વર્ષોથી ચાલી રહેલી વરસાદી પાણી ભરાવાની અને ડ્રેનેજ લાઈન ઉભરાવાની ગંભીર સમસ્યાને હળવી કરવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ચોમાસા દરમિયાન વારંવાર સર્જાતી હાલાકીથી નાગરિકોને મુક્તિ અપાવવાના હેતુસર AMC દ્વારા રૂ. 68.56 લાખના ખર્ચે નવી સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈન નાંખવાની કામગીરી હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી નિકોલ વોર્ડમાં આવેલા કઠવાડા ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈનના અભાવે દર વર્ષે ચોમાસામાં ભારે વરસાદ પડતાં રસ્તાઓ ઉપર પાણી ભરાઈ જતું હતું. આ સાથે ડ્રેનેજ લાઈનો બેક મારવાના કારણે ગંદુ પાણી રસ્તા અને રહેણાંક વિસ્તારોમાં ફેલાતું હતું, જેના પરિણામે સ્થાનિક રહીશોને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે વાહનવ્યવહાર ખોરવાતો, દુકાનોમાં પાણી ઘૂસી જતું તેમજ આરોગ્ય સંબંધિત જોખમો પણ ઊભા થતા હતા.
આ સમસ્યાને લઈ સ્થાનિક રહીશો દ્વારા AMC માં વારંવાર ફરિયાદો કરવામાં આવી હતી. નાગરિકોમાં વધતી નારાજગી અને રોષને ધ્યાનમાં રાખીને અંતે AMC દ્વારા આ મુદ્દે ગંભીરતા દાખવી અને રૂ. 68.56 લાખના ખર્ચે નવી સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈન નાંખવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મળ્યા બાદ ટૂંક સમયમાં કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર આપવામાં આવશે અને ત્યારબાદ કામગીરી શરૂ કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, વર્ષ 2020માં કઠવાડા ગામને AMC ની હદમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે, પાંચ વર્ષ વીતી જવા છતાં પણ કઠવાડા તથા તેની આસપાસના વિસ્તારોમાં પૂરતી ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર ડ્રેનેજની સુવિધા વિકસાવવામાં આવી નહોતી. પરિણામે દર વર્ષે ચોમાસામાં સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઊઠતા હતા. વારંવાર ડ્રેનેજ લાઈનો ઉભરાવાની અને વરસાદી પાણી ભરાવાની સમસ્યાએ લોકોનું જનજીવન મુશ્કેલ બનાવી દીધું હતું.
AMC દ્વારા હવે કઠવાડા અને આસપાસના વિસ્તારોના વિકાસને ધ્યાનમાં રાખીને વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. સ્થાનિક રહીશોની માંગણીને અનુરૂપ નવા ટાઉન પ્લાનિંગ (TP) રસ્તાઓ બનાવવાની સાથે સાથે નવા ખુલ્લા થયેલા TP રોડ ઉપર તેમજ નવા વિકસિત થનારા રસ્તાઓ પર નવી સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈન નાંખવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનના ભાગરૂપે રૂ. 68.56 લાખના ખર્ચે કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
વર્ક ઓર્ડર અપાયા બાદ ટૂંક સમયમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈનની કામગીરી શરૂ કરવામાં આવશે, જેના કારણે આવનારા ચોમાસામાં કઠવાડા અને આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા નોંધપાત્ર રીતે ઘટશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક રહીશો પણ આ નિર્ણયને આવકાર આપી રહ્યા છે અને AMCના આ પગલાંથી વર્ષોથી ચાલતી સમસ્યાનો અંત આવશે તેવી અપેક્ષા રાખી રહ્યા છે.
વધુ સમાચાર વાંચો :
CAR-T સેલ થેરેપીથી બ્લડ કેન્સરનો ઇલાજ હવે ગુજરાતમાં જ શક્ય
https://abplusnews.com/treatment-of-blood-cancer-with-car-t-cell/

