શ્રીમતી એ.પી. પટેલ આર્ટ્સ અને સ્વ. શ્રી એન.પી. પટેલ કોમર્સ કોલેજ, નરોડાના C.W.D.C. (College Women Development Cell) વિભાગ દ્વારા તા. ૫ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ કોલેજ કેમ્પસમાં વિશેષ મહેંદી સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવતીઓની આંતરિક શક્તિઓ, તેમની સર્જનાત્મકતા, ધીરજ, અને કૌશલ્યને ઊજાગર કરવાનો તેમજ તેમને આત્મનિર્ભર બનવા પ્રોત્સાહિત કરવાનો હતો.

કાર્યક્રમની શરૂઆત પરંપરાગત રીતે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. દીપ પ્રાગટ્ય કરવાનું પાવન કાર્ય કોલેજના સુપ્રસિદ્ધ પ્રિન્સિપાલ ડૉ. મુકેશભાઈ પ્રજાપતીએ કર્યું. તેમણે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી અને આવા કાર્યક્રમો મહિલાઓના સર્વાંગી વિકાસ માટે કેટલાં પ્રેરણાદાયી સાબિત થાય છે તે અંગે પોતાની વાત રજુ કરી.
આ સ્પર્ધામાં કુલ ૭૦ જેટલાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દરેક સ્પર્ધકએ વિવિધ ડિઝાઇનથી યુક્ત સુંદર અને આકર્ષક મહેંદી ડિઝાઇન તૈયાર કરી હતી. ભાગ લેનાર દરેક સ્પર્ધકે પોતાની કલાત્મક અભિવ્યક્તિ, પરંપરા પ્રત્યેના ભાવ અને આધુનિકતાનો સમન્વય દર્શાવ્યો હતો.

સ્પર્ધાનું મૂલ્યાંકન કરવા માટે ખાસ તરીકે આમંત્રિત કરાયેલાં બ્રાઇડલ મહેંદી આર્ટિસ્ટ અને કોલેજની ભૂતપૂર્વ વિદ્યાર્થીની સુજાતા પંડ્યાએ જજ તરીકે પોતાની સેવા આપી. તેમની ઉપસ્થિતિ, વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્રોત રહી હતી. તેમણે દરેક ભાગ લેનાર સ્પર્ધકના કાર્યની વિગતવાર સમીક્ષા કરી અને તેમાંથી શ્રેષ્ઠ ૬ વિજેતાઓને પસંદ કર્યા. વિશેષ નોંધપાત્ર બાબત એ રહી કે વિજેતાઓને પુરસ્કારો અને પ્રમાણપત્રો તેમના હસ્તે જ આપવામાં આવ્યા અને તમામ ઈનામો તેમની તરફથી જ સ્પોન્સર કરાયા.
કાર્યક્રમના સફળ આયોજન પાછળ સમગ્ર C.W.D.C ટીમની મહેનત અને દૃઢ સંકલ્પ રહેલો. કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન ડૉ. પારુલબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સંચાલનની જવાબદારી ડૉ. મંજુલાબેન વિરડીયાએ ખૂબ સારી રીતે નિભાવી હતી. સાથે સાથે કાર્યક્રમમાં પ્રો. ભાવના પ્રજાપતિએ ફીડબેક ફોર્મ સંભાળવાની જવાબદારી નિષ્ઠાપૂર્વક આદાય કરી હતી, જ્યારે પ્રો. કવિતા સોનીએ પણ પોતાની ઉપસ્થિતિ નોંધાવી હતી.

વિદ્યાર્થીઓ માટે આ પ્રકારના કાર્યક્રમો તેઓના સર્વાંગી વિકાસ માટે ઉત્તમ મંચ પૂરું પાડી રહ્યા છે. સ્પર્ધાના અંતે વિદ્યાર્થીઓએ પોતાનો અનુભવો શેર કર્યો અને આવનારા સમયમાં પણ આવા સર્જનાત્મક અને પ્રતિભા પ્રદર્શિત કરવા માટેના કાર્યક્રમોની વધુ અપેક્ષા વ્યક્ત કરી.
કુલ મળીને, મહેંદી સ્પર્ધાનું આયોજન C.W.D.C વિભાગ દ્વારા સફળતાપૂર્વક યોજવામાં આવ્યું અને તેમાંથી અનેક વિદ્યાર્થીનીઓના આત્મવિશ્વાસ અને કુશળતાને મજબૂતી મળી. કોલેજના આ પ્રયાસને શ્રદ્ધા, શિસ્ત અને સમર્પણનો ત્રિવેણી સંગમ માનવો યોગ્ય છે.
વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા
https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/
