અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોના વેચાણ સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ જ ક્રમમાં શહેરના નરોડા વિસ્તારમાં SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. SOG ની ટીમ નિયમિત પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને વિશ્વસનીય બાતમી મળી હતી કે નરોડા વિસ્તારમાં આવેલ એક પાન પાર્લર પર ગાંજાનું ગેરકાયદે વેચાણ થઈ રહ્યું છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી પાન પાર્લર પર દરોડા પાડ્યા હતા.
SOG ની ટીમે નરોડામાં આવેલ ‘સાવરિયા શેઠ પાન પાર્લર’ પર રેડ કરી હતી. દરોડા દરમિયાન પોલીસને ત્યાંથી રૂ. 82 હજારની કિંમતનો કુલ 1.646 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. સાથે જ ગાંજાના સેવન માટે ઉપયોગમાં લેવાતા ‘ગોગો પેપર’નો મોટો જથ્થો પણ મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી કુલ રૂ. 92 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ ગ્રાહકોને ‘ગોગો પેપર’ના નામે ગાંજો પણ વેચતા હતા, જેથી શંકા ન જાય અને ખુલ્લેઆમ નશીલા પદાર્થોનું વેચાણ કરી શકાય. SOG એ ઘટનાસ્થળ પરથી બે આરોપીઓને ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં પાન પાર્લર સંચાલક વિજયસિંહ બાલોત અને પિયુષ ખલાસનો સમાવેશ થાય છે.
આ મામલે એસઓજી દ્વારા એનડિપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં વધુ ખુલાસા થયા છે કે પાન પાર્લર સંચાલક વિજયસિંહ મૂળ રાજસ્થાનનો રહેવાસી છે અને છેલ્લા બે મહિનાથી તેના મામાના ઘરે નાના ચિલોડાખાતે રહે છે. તે ત્યાંથી પાન પાર્લર ચલાવી રહ્યો હતો અને ગાંજાના વેચાણમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે.
બીજો આરોપી પિયુષ ખલાસ ઘોરણ-10 સુધી ભણેલો છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ બેઝ પર એસટી ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું છે કે ફ્રી સમયમાં પિયુષ વિજયસિંહના પાન પાર્લર પર બેસી ગાંજાના વેચાણમાં મદદરૂપ થતો હતો. બંને આરોપીઓ ગ્રાહકોને છુપાઈને નશીલા પદાર્થો વેચતા હતા.
પોલીસે વધુમાં જણાવ્યું છે કે આ ગાંજાનો જથ્થો રાજસ્થાનથી લાવવામાં આવ્યો હતો. આ જથ્થો પૂરો પાડનાર મુખ્ય સપ્લાયર રાજસ્થાનનો રહેવાસી સુરેન્દ્રસિંહ દેવડા હાલ ફરાર છે. પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે અને ટૂંક સમયમાં તેને ઝડપી લેવાની દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસે દુકાનમાંથી મળેલા ગોગો પેપરના જથ્થાનો સ્થળ પર જ નાશ કર્યો હતો. SOG એ જણાવ્યું છે કે શહેરમાં નશીલા પદાર્થોના વેચાણ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે અને આવા ગેરકાયદે ધંધામાં સંડોવાયેલા કોઈને પણ બક્ષવામાં નહીં આવે. આ કામગીરીથી નશીલા પદાર્થોના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
વધુ સમાચાર વાંચો :
CAR-T સેલ થેરેપીથી બ્લડ કેન્સરનો ઇલાજ હવે ગુજરાતમાં જ શક્ય
https://abplusnews.com/treatment-of-blood-cancer-with-car-t-cell/
